ભારત H-1B વિઝા અરજીઓ પર એક લાખ ડૉલર ફી લાદવાના અમેરિકાના નિર્ણયની અસરની તપાસ કરી રહ્યું છે
Live TV
-
ભારતે જણાવ્યું છે કે તે H-1B વિઝા અરજીઓ પર એક લાખ ડૉલર ફી લાદવાના અમેરિકાના નિર્ણયની અસરોની તપાસ કરી રહ્યું છે, પરંતુ આ પગલાથી માનવતાવાદી પરિણામો પણ આવી શકે છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય ઉદ્યોગ સહિત તમામ હિસ્સેદારો યુએસ H-1B વિઝા કાર્યક્રમ પર પ્રસ્તાવિત પ્રતિબંધોના સંપૂર્ણ પરિણામોનો અભ્યાસ કરી રહ્યા છે.
MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા બંનેના ઉદ્યોગોને નવીનતા અને સર્જનાત્મકતામાં રસ છે અને આગળ વધવાના યોગ્ય માર્ગ પર ચર્ચા કરવાની અપેક્ષા રાખી શકાય છે.
તેમણે જણાવ્યું હતું કે ભારત સરકારને આશા છે કે અમેરિકી અધિકારીઓ આ અવરોધોનો યોગ્ય ઉકેલ શોધશે. જયસ્વાલે જણાવ્યું હતું કે કુશળ પ્રતિભાએ અમેરિકા અને ભારતમાં ટેકનોલોજી વિકાસ, નવીનતા, આર્થિક વિકાસ, સ્પર્ધાત્મકતા અને સંપત્તિ નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કુશળ વિદેશી કામદારો માટે H-1B વિઝા અરજીઓ પર એક લાખ ડૉલર ફી લાદવાની ઘોષણા પર હસ્તાક્ષર કર્યા હતા. આ પગલાથી ઘણા વિદેશી કામદારો પર અસર થવાની સંભાવના છે, જેમાં વૈશ્વિક અને ભારતીય કંપનીઓ માટે કામ કરતા H-1B વિઝા ધરાવતા ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ આદેશ આજથી અમલમાં આવશે.
દરમિયાન ભારત સરકારે તેના તમામ મિશનોને આગામી 24 કલાકમાં યુનાઇટેડ સ્ટેટ્સ પરત ફરતા ભારતીય નાગરિકોને તમામ શક્ય સહાય પૂરી પાડવાની સલાહ આપી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય દૂતાવાસે ગઈકાલે સહાય માંગતા ભારતીય નાગરિકો માટે એક કટોકટી સહાય નંબર બહાર પાડ્યો હતો. ભારતીય દૂતાવાસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતીય નાગરિકો +1-2 0 2-5 5 0-9 9 3 1 મોબાઇલ નંબર પર કૉલ અને વોટ્સએપ કરી શકે છે. દૂતાવાસે ભાર મૂક્યો હતો કે આ નંબરનો ઉપયોગ ફક્ત તાત્કાલિક કટોકટી સહાય માંગતા ભારતીય નાગરિકો દ્વારા જ કરવો જોઈએ.
