મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના માનવીઓની સમસ્યા-રજૂઆતોનું ત્વરિત નિવારણ સ્થાનિક સ્તરે જ લાવી દેવાની જિલ્લા વહીવટી તંત્ર વાહકોને તાકિદ કરી છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ દિશાનિર્દેશો આપતાં કહ્યું કે, આવા અરજદારો-નાગરિકોએ પોતાની રજૂઆત માટે રાજ્યકક્ષા સુધી આવવું જ ન પડે તેવું સુચારૂ સમસ્યા નિવારણ જિલ્લાસ્તરે જ થવું જોઇએ. મુખ્યમંત્રીએ રાજયકક્ષાના સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવેલી રજૂઆતોના નિરાકરણ માટેનું માર્ગદર્શન સંબંધિત જિલ્લા કલેક્ટરોને આપ્યું હતું. દર મહિનાના ચોથા ગુરૂવારે મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ પ્રજાવર્ગો-નાગરિકોની સમસ્યાઓની રજૂઆતો અને તેના વાજબી નિવારણના ઉપાયો માટે યોજવામાં આવે છે. વિધાનસભાનું અંદાજપત્ર સત્ર હાલ ચાલી રહ્યું છે તેમાંથી સમય કાઢીને મુખ્યમંત્રીશ્રી તેમના કાર્યાલયના જનસંપર્ક એકમમાં આ ગુરુવારે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહિ, તેમણે અરજદારોને સંવેદના અને ધીરજપૂર્વક સાંભળી તેમની રજૂઆતોના નિવારણ માટે જિલ્લા કલેકટરોને જરૂરી સુચનાઓ પણ આપી હતી.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ડિજિટલ માધ્યમથી આવતી રજૂઆતો પર પણ ધ્યાન આપીને તથા નિયમીત રૂપે જિલ્લા-તાલુકા-ગ્રામ સ્વાગતનું આયોજન કરીને રજૂઆતોનું સુચારૂ નિવારણ થવું જરૂરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ રાજ્ય સ્વાગતમાં મોરબી, બનાસકાંઠા, બોટાદ, સુરેન્દ્રનગર અને મહેસાણા જિલ્લાઓમાંથી વિવિધ અરજદારોએ પ્રત્યક્ષ આવીને રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રીએ તેમની આ રજૂઆતો-સંદર્ભે સંબંધિત જિલ્લા કલેકટરોઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને વિગતો મેળવી હતી તથા તેના નિવારણ માટે યોગ્ય કાર્યવાહીનું માર્ગદર્શન પુરૂં પાડયુ હતું. આ ઉપરાંત તેમણે કમોસમી વરસાદથી થયેલી નુકશાનીનો સર્વે પણ કરાવી લેવાની જિલ્લા કલેકટરોને સૂચનાઓ આપી હતી. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, માર્ચ મહિનામાં રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગત કાર્યક્રમોમાં તંત્રવાહકોને મળેલી કુલ 3584 રજૂઆતોમાંથી 2730 નું ત્વરિત સુખદ નિવારણ લાવી દેવામાં આવેલું છે. રાજ્ય સ્વાગતના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ સંબંધિત વિભાગોના અને મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.
