રાજસ્થાન: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કારમાં ભીષણ આગ, એક જ પરિવારના 5 સભ્યો જીવતા ભૂંજાયા
Live TV
-
રાજસ્થાનના અલવર જિલ્લામાં બુધવારે(29 એપ્રિલ) રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાલુ કારમાં અચાનક આગ ફાટી નીકળતા એક જ પરિવારના પાંચ સભ્યોના જીવતા ભૂંજાઈ જવાથી મોત થયા છે. પ્રાથમિક તપાસમાં કારમાં લાગેલી આગનું કારણ CNG ગેસ લીકેજ હોવાનું માનવામાં આવે છે.
વૈષ્ણોદેવીના દર્શન કરી પરત ફરતી વખતે કાળ ભેટ્યો
પોલીસના જણાવ્યા અનુસાર, તમામ મૃતકો મધ્ય પ્રદેશના સ્યોપુર જિલ્લાના ચેનપુરા ગામના રહેવાસી હતા. આ પરિવાર માતા વૈષ્ણોદેવીના દર્શન કરીને ટેક્સી ભાડે કરી પરત ફરી રહ્યો હતો. રાત્રિના સમયે જ્યારે તેમની કાર મોજપુર પાસે પહોંચી ત્યારે અચાનક CNG લીક થવાને કારણે કારમાં ભયાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે કારમાં સવાર મુસાફરોને બહાર નીકળવાની તક જ ન મળી.દુર્ઘટનામાં માસૂમ બાળકી સહિત 5 ના મોત
આ ભયાનક દુર્ઘટનામાં ત્રણ મહિલાઓ, એક પુરુષ અને એક નાની બાળકીનું જીવતા ભૂંજાઈ જવાથી મોત નીપજ્યું હતું. આગની તીવ્રતા એટલી વધારે હતી કે તમામના મૃતદેહો બળીને રાખ થઈ ગયા હતા. કારનો ડ્રાઈવર ગંભીર રીતે દાઝેલી હાલતમાં આબાદ બચી નીકળ્યો હતો, જેને હાલ જયપુરની એસએમએસ (SMS) હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.પોલીસ અને વહીવટી તંત્રની કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ લક્ષ્મણગઢ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં પાંચેય મુસાફરો કાળનો કોળિયો બની ગયા હતા.લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશનના પ્રભારી નેકી રામે જણાવ્યું હતું કે, "ગાડી CNG અને પેટ્રોલ બંને પર ચાલતી હતી. ગેસ લીક થવાને કારણે લાગેલી આગની તીવ્રતા વધુ હોવાથી મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ છે." મૃતકોની ઓળખ માટે મેડિકલ ટીમ દ્વારા DNA ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસપી સુધીર ચૌધરીએ પણ મોડી રાત્રે ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસના આદેશ આપ્યા હતા.
