રાષ્ટ્રપતિ આવતીકાલે ગુજરાતના કેવડિયા ખાતે 80મી 'ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ' નું ઉદ્ઘાટન કરશે
Live TV
-
આ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે તેમજ સમાપન સમારોહમાં સંબોધન કરશે.બંધારણ દિવસની ઉજવણી તથા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના શતાબ્દી વર્ષને અનુલક્ષીને ચાલુ વર્ષે 80મી “ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ”નું આયોજન 25-26 નવેમ્બર દરમિયાન કેવડિયા નર્મદા ખાતે થઇ રહ્યું છે, આજે ગાંધીનગર ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આ માહિતી આપી હતી.ઓમ બિરલાએ જણાવ્યું હતું કે 80મી 'ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ'નું ઉદઘાટન માનનીય રાષ્ટ્રપતિ મહોદય શ્રી રામનાથ કોવિંદજી તા.25 નવેમ્બર 2020ના રોજ સવારે 11:00 કલાકે કરશે. આ કાર્યક્રમમાં રાજ્યસભાના અધ્યક્ષ તથા ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ પણ ઉપસ્થિત રહેશે. વિવિધ રાજ્યોની વિધાનસભા, વિધાન પરિષદના અધ્યક્ષ તથા પ્રિસાઇડિંગ ઓફિસર્સ પણ આ બે દિવસીય કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા વિધાન પરિષદના પ્રિસાઇડિંગ ઓફિસર્સને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. લગભગ 27 વિધાનસભા-વિધાન પરિષદના પ્રિસાઇડિંગ ઓફિસર્સે આ કોન્ફરન્સમાં હાજર રહેવા અંગેની પુષ્ટિ કરી છે. આ સંમેલનમાં તમામ રાજ્યોની વિધાનસભાના સચિવો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ થાય તેવી શક્યતા છે.
ગુજરાતની ધરતી એ પુણ્ય પાવન ભૂમિ છે, જેણે દેશને ગુલામીની બેડીઓમાંથી મુક્ત કરાવનારા ભારતમાતાના સપૂત મહાત્મા ગાંધીને જન્મ આપ્યો છે. સાડા પાંચસોથી વધુ દેશી રજવાડાઓમાં વહેંચાયેલા દેશને 'એક' કરીને એક રાષ્ટ્ર બનાવનારા લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ પણ અહીં થયો હતો. ગુજરાતમાં 130 કરોડ ભારતીયોના દેશની એકતા-અખંડિતતાને પ્રતિ સમર્પિત એને એકતાનાં પ્રતીક સમી દુનિયાની સૌથી ઊંચી- વિશાળકાય સરદારની પ્રતિમા છે. 26 નવેમ્બરનો દિવસ લોકશાહીના ઇતિહાસમાં મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે આ દિવસને 'બંધારણ દિવસ'/ 'સંવિધાન દિવસ' તરીકે મનાવવામાં આવે છે.તેમણે માહિતી આપતા કહ્યું કે આ વર્ષને 'પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ'ના શતાબ્દી વર્ષ તરીકે પણ મનાવવામાં આવે છે. 'અખિલ ભારતીય પીઠાસીન અધિકારી સંમેલનની ઉજવણીનો પ્રારંભ વર્ષ 1921થી કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંમેલનો અંતર્ગત લોકશાહી પ્રણાલિકાને મજબૂતાઈ આપવાની દ્રષ્ટિથી નવા વિચારો અને નવી પ્રણાલીકાના અનુભવોનું આદાન પ્રદાન કરવાની સાથે આ મંચ અત્યંત પ્રભાવશાળી સાબિત થયો છે.
