રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને તેમના નિવાસસ્થાને જઈને ભારત રત્ન આપ્યો
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને તેમના નિવાસ સ્થાને જઈને ભારત રત્નથી સન્માનિત કર્યા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા.
રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી સોશિયલ મીડિયા પર આ માહિતી આપવામાં આવી છે. આ મુજબ રાષ્ટ્રપતિએ, લાલકૃષ્ણ અડવાણીની તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી અને તેમને ભારત રત્ન એનાયત કર્યો હતો. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ-મંત્રી અમિત શાહ અને અડવાણીના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
એક દિવસ પહેલા, શનિવારે, રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં બે ભૂતપૂર્વ વડાપ્રધાનો ચૌધરી ચરણ સિંહ અને પીવી નરસિમ્હા રાવ અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય-પ્રધાન કર્પુરી ઠાકુર અને વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને મરણોત્તર, ભારત રત્નથી સન્માનિત કર્યા. આ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સંબંધીઓને રાષ્ટ્રપતિ તરફથી ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને નાનાજી દેશમુખ પછી આ સન્માન મેળવનાર અડવાણી, ભાજપ અને સંઘ પરિવાર સાથે જોડાયેલા ત્રીજા વ્યક્તિ છે. અડવાણીએ સાત દાયકાથી વધુ સમયથી અતૂટ સમર્પણ અને અસાધારણ કૌશલ્ય સાથે દેશની સેવા કરી છે. 1927માં કરાચીમાં જન્મેલા અડવાણી, 1947માં વિભાજનની પૃષ્ઠભૂમિમાં ભારત આવ્યા હતા. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની તેમની દ્રષ્ટિ સાથે તેમણે દેશભરમાં દાયકાઓ સુધી સખત મહેનત કરી અને સામાજિક-રાજકીય લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવ્યું.
સંસદસભ્ય તરીકે, સંવાદમાં તેમની શ્રદ્ધાએ સંસદીય પરંપરાઓને સમૃદ્ધ બનાવી. ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન તરીકે, તેમણે હંમેશા રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખ્યું, જેના કારણે લોકોએ તેમને પક્ષની સીમાઓથી આગળ માન અને પ્રશંસા આપી. ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાન માટે તેમનો લાંબો અને અથાક સંઘર્ષ, 2024માં અયોધ્યામાં શ્રી રામ મંદિરના પુનર્નિર્માણમાં પરિણમ્યો. તેઓ આઝાદી પછીના એવા કેટલાક રાજકીય નેતાઓમાંના એક છે, જેઓ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને નવેસરથી આકાર આપવામાં અને દેશને વિકાસના માર્ગ પર આગળ લઈ જવામાં સફળ રહ્યા હતા. તેમની સિદ્ધિઓ ભારતની જન્મજાત પ્રતિભા અને સમાવિષ્ટ પરંપરાઓની શ્રેષ્ઠ અભિવ્યક્તિ પૂરી પાડે છે.
