રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હસ્તે દેશના 47 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા
Live TV
-
ગુજરાતના ત્રણ શિક્ષકોને રાષ્ટ્રપતિએ શ્રેષ્ઠ કામગીરી બદલ નવાજ્યા
દેશ આજે શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યો છે. પ્રખર કેળવણીકાર અને પુર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાક્રિશ્નનના સન્માનમાં દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ તેની ઉજવણી થાય છે. શિક્ષક દિવસે દેશભરના સર્વશ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી નવાજવામાં આવે છે. આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશભરના 47 ઉત્કૃષ્ઠ શિક્ષકોને તેમણે શિક્ષણ ક્ષેત્રે કરેલા નોંધપાત્ર પ્રદાન બદલ રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજ્યા છે.. શિક્ષક દિવસ નિમિત્તે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે દેશવાસીઓને શુભેચ્છા પાઠવતાં સંદેશો આપ્યો છે. તેમણે કહ્યું હતું કે કોરોના મહામારીના કાળમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ ઉપલબ્ધ કરાવીને વોરિયરની ભૂમિકા નિભાવી છે.
શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાષ્ટ્રીય એવોર્ડ માટે રાજ્યમાંથી જે ત્રણ શિક્ષકોની ભારત સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી છે તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીડાણા ગામના મહિપાલસિંહ સજ્જનસિંહ જેઠા વત, સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કંજેલી ગામના પ્રકાશચંદ્ર નરભેરામ સુથાર તથા અમદાવાદના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા સુધા ગૌતમભાઈ જોષીનો સમાવેશ થાય છે.શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ થનારા આ ત્રણેય શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, આ શિક્ષકોએ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામીને ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને ગૌરવવંતુ બનાવ્યું છે.
