સંસદના બંને સદનમાં કૃષિ કાયદાને પરત કરતું બિલ બહુમતિથી પસાર
Live TV
-
આજે સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચતું બિલ લોકસભામાં રજૂ કરાયું અને સર્વસંમતિથી બિલને પાસ કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાજ્યસભામાં પણ બિલ રજૂ થયા બાદ પાસ થયું છે. બિલ રજૂ કર્યા બાદ લોકસભામાં ચર્ચા ન થતા વિપક્ષે વિરોધ દર્શાવ્યો હતો. વિપક્ષના હોબાળાના કારણે બંને સદનમાં કાર્યવાહી સ્થગિત કરાઈ હતી. આ કૃષિ બિલમાં ત્રણ કાયદાને પરત કરવાની જોગવાઈ હતી જે બંને સદનમાં પસાર થઈ ગયું છે. હવે આ બિલ પર રાષ્ટ્રપતિની મહોર લાગ્યા બાદ કૃષિ કાયદો પરત થશે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કૃષિ કાયદો પરત ખેંચવાની જાહેરાત કરી હતી. લોકસભામાં સત્રની શરૂઆતમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ હતું કે- આ સત્ર ખૂબ જ મહત્વનું છે, અને સરકાર તમામ વિષય પર શાંતિપૂર્ણ રીતે ચર્ચા કરવા માગે છે. સંસદની કાર્યવાહી શરૂ કરતા પહેલા નવનિયુક્ત 5 સાંસદોએ શપથ લીધા હતા અને જેમનું અવસાન થયું છે તેવા પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સમગ્ર સત્રમાં બેન્કોનું ખાનગીકરણ, ક્રિપ્ટોકરન્સી, નાણાકિય સુધારા અને બેન્કિંગ કાયદા સુધારા સહિતના બિલ સામેલ છે.
