સંસદ દેશના 140 કરોડ નાગરિકોની આકાંક્ષાઓનું કેન્દ્ર : પ્રધાનમંત્રી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે NDAના ઉમેદવાર અને કોટાના સાંસદ ઓમ બિરલાને 18મી લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન આપતાં કહ્યું હતું કે, આ સન્માનની વાત છે કે તમે બીજી વખત આ અધ્યક્ષ તરીકે ચૂંટાયા છો. ઓમ બિરલાની પ્રશંસા કરતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, 18મી લોકસભા તેમના નેતૃત્વમાં લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરશે.
18મી લોકસભામાં પોતાના પ્રથમ સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સંસદ ભવન માત્ર દિવાલો નથી, પરંતુ 140 કરોડ નાગરિકોની આકાંક્ષાઓનું કેન્દ્ર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગૃહની કામગીરી, આચાર અને જવાબદારી આપણા દેશમાં લોકશાહીનો પાયો મજબૂત કરે છે.
પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, તેમનો પાંચ વર્ષનો અનુભવ અને તેમની સાથેના સભ્યોનો અનુભવ, પુનઃ ચૂંટાયેલા અધ્યક્ષને આ અંગે ગૃહને માર્ગદર્શન આપવા સક્ષમ બનાવશે.
પ્રધાનમંત્રીએ સંસદસભ્ય તરીકે સ્પીકરની કામગીરી પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઓમ બિરલાના તેમના મતવિસ્તારમાં હેલ્ધી મધર એન્ડ હેલ્ધી ચાઈલ્ડના નોંધપાત્ર અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે તેમના મતવિસ્તાર કોટાના ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય સેવાઓને લઈ જવા માટે ઓમ બિરલા દ્વારા કરવામાં આવેલા સારા કામ પર પણ ટિપ્પણી કરી હતી. તેમણે તેમના મતવિસ્તારમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે બિરલાની પ્રશંસા પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ G-20 દેશોના લેજિસ્લેટિવ બોડીઝના પ્રિસાઇડિંગ ઓફિસર્સની અત્યંત સફળ P-20 કોન્ફરન્સ માટે અધ્યક્ષની પણ પ્રશંસા કરી હતી, જેમાં રેકોર્ડ સંખ્યામાં દેશોએ હાજરી આપી હતી.
