સુરતની હ્રદય કંપાવી દે તેવી ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી વ્યક્ત કર્યું દુઃખ
Live TV
-
ગત રાત્રે કિમ-માંડવી રોડ પર આવેલા પાલોદગામ નજીક ફૂટપાથ પર ઊંઘી રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળતાં 12 લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3નું સારવાર દરમિયાન મોત નીપજતાં કુલ મૃતાંક 15 પર પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. પોલીસે ડમ્પરચાલક અને ક્લિનરની ધરપકડ કરી હતી..તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના કુશલગઢના રહેવાસી છે. હજુ પણ કેટલાક શ્રમજીવીઓ સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે, અને મોતનો આંકડો વધવાની આશંકાઓ સેવાઇ રહી છે. ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ પ્રધાનમંત્રી નેશનલ રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય તેમજ ઘાયલોને રૂપિયા 50 હજારની સહાયની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી મૃતક પરિવારજનોને 2 લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરી છે.
