સ્વર કોકિલા, સરોજિની નાયડુને જન્મદિને તેમના યોગદાન બદલ કૃતજ્ઞતા વ્યકત કરતું રાષ્ટ્ર
Live TV
-
રાષ્ટ્ર આજે સ્વાતંત્ર્ય સેનાની, વક્તા અને પ્રખ્યાત કવિયત્રી સરોજિની નાયડુને તેમની 143મી જન્મજયંતિ પર યાદ કરી રહ્યું છે. તે નાગરિક અધિકારો, મહિલા મુક્તિ અને સામ્રાજ્ય વિરોધી વિચારોના સમર્થક હતા. સરોજિની નાયડુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બીજા મહિલા પ્રમુખ અને INC પરિષદની અધ્યક્ષતા કરનાર પ્રથમ ભારતીય મહિલા હતા. તેમણે અસહકાર ચળવળ અને ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો.
આઝાદી પછી, સરોજિની નાયડુને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેના કારણે તેઓ ભારતના પ્રથમ મહિલા ગવર્નર બન્યા હતા. નાયડુના કવિ તરીકેના કાર્યને કારણે તેમને ભારત કોકિલાનો ખિતાબ મળ્યો હતો.
સરોજિની નાયડુનો જન્મ ૧૩ ફેબ્રુઆરી ૧૮૭૯ના રોજ હૈદરાબાદના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ અઘોરીનાથ ચટ્ટોપાધ્યાય હતું, જેઓ વિદ્વાન, વૈજ્ઞાનિક, તત્ત્વજ્ઞ, સમાજસુધારક અને કેળવણીકાર હતા. સરોજિનીના માતાનું નામ વરદાસુંદરીદેવી હતું, જેઓ કવિયત્રિ હતા. તેમનો ઉછેર નાત-જાતનો ભેદભાવથી પર રાખી કરવામાં આવ્યો હતો. તેમને હિન્દુ કે બ્રાહ્મણના બદલે એક ભારતીય તરીકે ઉછેરવામાં આવ્યા હતા. સરોજિની નાયડુ ૧૨ વર્ષની ઉમરે મેટ્રિકની પરીક્ષા પાસ કરીને મદ્રાસમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હતા. ત્યારબાદ ૧૮૯૫માં તેઓ ઈંગ્લેન્ડ ગયા જ્યાં લંડનની કિંગ્ઝ કોલેજ અને કેમ્બ્રિજની ગિરટન કોલેજમાં વિદ્યાભ્યાસ કર્યો. આ સમય દરમિયાન તેઓ વિખ્યાત સાહિત્યકાર એડમંડ ગોસ અને આર્થર સાયમન્સના સંપર્કમાં આવ્યા હતા.
સરોજિની ૧૪ વર્ષની વયે ગોવિંદા રાજુલુ નાયડુ સાથે પરિચયમાં આવ્યા હતા. નાયડુ આંધ્રપ્રદેશના કહેવાતી શુદ્ર જાતિના હતા. ગોવિંદા રાજુલુ નાયડુએ ૧૮૯૮માં સરોજિનીએ નાયડુ સાથે 'સિવિલ મૅરેજ' કર્યા હતા. એમને ચાર સંતાનો હતા: જયસૂર્ય, પદ્મજા, રણધીર અને લીલામણિ. એમાંથી પદ્મજા પશ્ચિમ બંગાળના ગવર્નર બન્યાં હતાં.
સરોજિની નાયડુ ઇ.સ ૧૯૧૭માં રાજકારણમાં સક્રિય બન્યા અને કાવ્યલેખનને પૂર્ણ કર્યું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન ૧૯૦૬માં તેમણે આપેલા વક્તવ્યથી ગોપાલ કૃષ્ણ ગોખલે પ્રભાવિત થયા અને તેમને માતૃભૂમિની સેવા કરવા માટે આગ્રહ કર્યો. તેમણે સ્ત્રીઓને આગળ લાવવા કેટકેટલીય ચળવળો ચલાવી હતી. ઇ.સ. ૧૯૦૮માં મદ્રાસમાં મળેલા વિધવાપુનલગ્ન માટેના અધિવેશનમાં તેમણે સ્ત્રીઓને જાગૃત કરવા અથાગ પરિશ્રમ કર્યો હતો. તેમણે પ્લેગના રોગચાળા દરમિયાન આપેલી સેવાઓને ધ્યનમાં રાખીને તેમણે હૈદરાબાદમાં “કૈસરે હિંદ”નો સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. તેઓ હમેશા હિન્દુ મુસ્લિમની એકતા માટે કાર્ય કરતાં હતા.
ઇ.સ. ૧૯૧૫થી ૧૯૧૮ સુધી તેમણે ભારતના વિવિધ ગામડાં અને શહેરોમાં પૂર્વકકલ્યાણ, શ્રમનું ગૌરવ , મહિલાઓની મુશ્કેલીઓની મુક્તિ તથા રાષ્ટ્રવાદ પર પ્રવચનો આપતા હતા. તેમણે મોટેગ્યુંચેમ્સ્ફર્ડનો સુધારા અને રોલેટ એક્ટનો ખૂબ વિરુદ્ધ કર્યો હતો. તેમણે ૧૯૧૯માં બનેલા જલિયાવાલા બાગના હત્યાકાંડ તથા અમૃતસરમા લશ્કરી કાયદા વિરુદ્ધ તેમણે ધારદાર વકતવ્યો આપ્યા હતા. અને સાહિત્યનું વિતરણ કર્યું હતું. ઇ.સ. ૧૯૨૫માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદે ચૂંટાયા.
સરોજિની નાયડુનો પ્રથમ કાવ્યસંગ્રહ હીરાની ઉંબર ઇ.સ. ૧૯૦૫માં બહાર પડ્યો. પછી ૧૯૧૪માં ગાંધીજીને મળ્યા અને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું અને તેઓ સ્ત્રીસેવા, સમાજસેવા અને સત્યાગ્રહની લડતમાં ગળાબૂડ ડૂબી ગયા. ઘરાસણામાં લાઠીમાર વખતે મોખરે હતા, અને ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઈ ૨૧ મહિનાની જેલની સજા ભોગવી હતી.આમ ગાંધીજીની એક અનન્ય શિષ્યા તરીકે ૧૯૨૦ થી ૧૯૪૯ સુધી તેમણે કરેલી દેશસેવા અવિસ્મરણીય છે.
સરોજિની નાયડુએ ધ લેડી ઓફ ધ લેક શીર્ષક હેઠળ ૧૩૦૦ પંક્તિઓની કવિતા તથા ૨૦૦૦ પંક્તિઓનું નાટક લખ્યું. તેમણે ૧૯૦૫માં ધ ગોલ્ડન થ્રેશેલ્ડ અને ૧૯૧૨માં ધ બર્ડ ઓફ ટાઈમ અને ૧૯૧૭માં ધ બ્રોકન વિંગ નામના કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા
હૈદરાબાદમાં ૧૯૦૮માં મૂસી નદીમાં પૂર આવ્યું હતું ત્યારે સરોજિનીએ રાહતકાર્યોનું આયોજન કર્યું હતું. તે બદલ બ્રિટિશ સરકારે એમને 'કૈસર-એ-હિંદ' ખિતાબ અને સુવર્ણચંદ્રકથી સન્માનિત કર્યા હતા. બ્રિટિશ સરકારના ભારતીયો પ્રત્યેના અન્યાયી અને કઠોર વર્તનથી યાતના અનુભવતાં તેમણે ૧૯૨૦માં આ ખિતાબ અને સુવર્ણચંદ્રક સરકારને પરત કર્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ આજે નાઈટીંગલ ઓફ ઈન્ડિયા સરોજિની નાયડુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એક ટ્વિટમાં, નાયડુએ કહ્યું, સરોજિની નાયડુ એક પ્રતિષ્ઠિત સ્વાતંત્ર્ય સેનાની, હોશિયાર કવિ, છટાદાર વક્તા અને મહિલા અધિકારોના પ્રખર વિચારક હતા.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની અમૂલ્ય ભૂમિકા માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે.