PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે કરી વાતચીત; જાન-માલના નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું
Live TV
-
યુક્રેન અને રશિયા વચ્ચેની સ્થિતિ અત્યારે ગંભીર બની છે. ત્યારે ભારતે ઓપરેશન ગંગા મારફત રેસ્ક્યુ ફલાઇટ દ્વારા ભારતીય નાગરિકોને સુરક્ષિત સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શરૂઆતમાં જ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત કરી હતી.
આ વાતચીત દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને યુક્રેનમાં ચાલી રહેલી સંઘર્ષની સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી હતી. જેની સામે પ્રધાનમંત્રી મોદીએ ચાલુ સંઘર્ષને કારણે જાન-માલના નુકસાન અંગે ઊંડી વેદના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેમણે હિંસા તાત્કાલિક બંધ કરવા અને સંવાદમાં પાછા ફરવા માટેના તેમના આહ્વાનનો પુનરોચ્ચાર પણ કર્યો હતો, તેમજ શાંતિ પ્રયાસો તરફ કોઈપણ રીતે યોગદાન આપવા માટે ભારતની તૈયારી દર્શાવી હતી.
પ્રધાનમંત્રીએ યુક્રેનમાં હાજર વિદ્યાર્થીઓ સહિત અન્ય ભારતીય નાગરિકોની સુરક્ષા માટે ભારતની ઊંડી ચિંતા પણ વ્યક્ત કરી હતી. તેમણે યુક્રેનિયન સત્તાવાળાઓ દ્વારા ભારતીય નાગરિકોને ઝડપથી અને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સુવિધાઓની પણ માંગ કરી હતી.
