ગુજરાત સ્થાપના દિવસ : CM આજે પંચમહાલના વિવિધ ગામોના સરપંચો સાથે વિડીયો કોન્ફરન્સ યોજશે
Live TV
-
૧૬ર નગરપાલિકાઓના પ્રમુખો, ઉપપ્રમુખો, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રીઓ તથા ચીફ ઓફિસરો સાથે પણ કરશે સંવાદ
મુખ્યમંત્રી તા.૧લી મે શુક્રવારે સવારે ૧૦ કલાકે આદિજાતિ વિસ્તાર પંચમહાલ જિલ્લાના ગામોના સરપંચો સાથે વિડીયો કોન્ફરન્સ યોજશે અને કોરોના વાયરસ સંક્રમણ સામેની તેમની સજ્જતા, સારવાર સુવિધા અને રાજ્યના સ્થાપના દિવસ અંગે ૧૦ જેટલા સરપંચો સાથે સંવાદ કરશે. મુખ્યમંત્રીશ્રી રાજ્યની તમામ ૧૬ર નગરપાલિકાઓના પ્રમુખો, ઉપપ્રમુખો, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રીઓ તથા ચીફ ઓફિસરો સાથે પણ આ જ પ્રમાણે સવારે ૧૧.૩૦ કલાકે વિડીયો કોન્ફરન્સ સંવાદ બેઠક યોજવાના છે.ગુજરાતે કોરોના વાયરસ સામે સતર્કતા અને જનજાગૃતિ તેમજ જનસહયોગથી જંગ આદરીને હમ હોંગે કામયાબ, ફરી જીતશે ગુજરાતના મક્કમ નિર્ધાર સાથે હાથ ધરેલા પગલાંઓ, ઉપાયો અંગે ગુજરાત@60 અંતર્ગત મુખ્યમંત્રીશ્રીની જાણીતા લેખિકા શ્રી કાજલ ઓઝા વૈધ દ્વારા કરાનારી મૂલાકાત-સાક્ષાત્કાર સાંજે ૬-૩૦ થી ૭ વાગ્યા દરમ્યાન પ્રાદેશિક ન્યૂઝ ચેનલો દ્વારા પ્રસારિત થવાની છે.
ગુજરાતની ૬૦ વર્ષની સિદ્ધિઓની પ્રસ્તુતિ ગાથા યશગાથા ગુજરાતી ગાન પ્રસ્તુતિ પણ ગુજરાત સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં તા. ૧લી મે એ સવારે ૮.૪પ તથા સાંજે ૭.૩૦ કલાકે પ્રાદેશિક ન્યૂઝ ચેનલ્સ પરથી પ્રસારિત થશે. આ યશગાથા ગાન શ્રી અભિલાષ ઘોડાના નિર્દેશનમાં તૈયાર કરાયું છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સાંપ્રત સ્થિતીમાં ‘કોરોના વોરીયર્સ’ તરીકે પોતાનું યોગદાન આપી શકે તેવા ઉદાત્ત ભાવ સાથે શિક્ષણ વિભાગને વિવિધ સ્પર્ધાઓના આયોજન માટે પ્રેરિત કર્યા છે. તદ્અનુસાર, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધાઓ ‘ગુજરાતના કોરોના વોરીયર્સ’વિષયવસ્તુ સાથે યોજવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતે તૈયાર કરેલી આવી કૃતિઓ ઇમેઇલ અથવા પોસ્ટ મારફતે પોતે જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના શિક્ષણાધિકારીને મોકલી શકશે. બાળ અને યુવાશકિતની આ ક્ષમતાને પ્રોત્સાહિત કરતાં શિક્ષણ વિભાગ દ્વારા ત્રણેય સ્પર્ધાઓમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગની શ્રેષ્ઠ કૃતિઓને પ્રથમ, દ્વિતીય અને તૃતિય એમ ત્રણ ક્રમ આપીને પ્રથમક્રમ માટે રૂ. ૧પ હજાર, દ્વિતીય માટે રૂ. ૧૧ હજાર અને ત્રીજા ક્રમ માટે પાંચ હજારના રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
જિલ્લાકક્ષાની પસંદ થયેલી નિબંધ લેખન, કાવ્યલેખન અને ચિત્ર સ્પર્ધાની કૃતિઓની ચકાસણી બાદ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પાંચ કૃતિઓ બેય વિભાગમાંથી પસંદ કરીને પ્રત્યેક કૃતિને રૂ. રપ હજારના ઇનામો રાજ્ય સરકાર આપશે.સમગ્રતયા રાજ્યકક્ષાએ ત્રણેય કેટેગરીમાં મળીને ૪પ કૃતિઓને પ્રત્યેકને રપ-રપ હજારના ઇનામોથી પુરસ્કૃત કરાશે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસને કોરોના વાયરસના સંક્રમણની હાલની સ્થિતીમાં ઓનલાઇન ટેકનોલોજી સાથે સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમો પાળીને ગૌરવપૂર્ણ ઉજવણી માટે તંત્રને પ્રેરિત કરીને આગવું દ્રષ્ટાંત પુરૂં પાડયું છે.
