જાણો કોણ હતાં દેશનાં પ્રથમ મહિલા વહાણવટા ઉદ્યોગકાર?
Live TV
-
એક સમયે જ્યારે ઉદ્યોગ સાહસિકતા માત્ર પુરૂષોનો જ ઈજારો ગણાતો ત્યારે કચ્છની એક બહાદુર દીકરીએ વહાણવટા વ્યવસાય ક્ષેત્રે કાઠું કાઢ્યું હતું. આ નવાચારીનું નામ સુમતિ મોરારજી હતું. તેમનો જન્મ વર્ષ 1909માં આજના જ દિવસે એટલે કે, 13મી માર્ચના રોજ કચ્છના મુંબઈ આવીને સ્થિર થયેલા કચ્છી ભાટિયા શેઠ મથુરદાસ ગોકુલદાસને ત્યાં થયો હતો. મુંબઈનાં ધનાઢ્ય પરિવારના મથુરદાસને ત્યાં છ દીકરાઓ વચ્ચે એક માત્ર દીકરી તરીકે તેમનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ યમુના હતું. 13 વર્ષની ઉંમરે તેમનાં લગ્ન શ્રીમંત પરિવારના નરોત્તમ મોરારજી સાથે થયા હતાં. તેમનો વિવાહોત્સવ એક અઠવાડીયા સુધી સ્થાનિક સમાચારપત્રોમાં ચમકતો રહ્યો હતો. લગ્ન બાદ તેમના પતિએ તેમનું નામ સુમતિ રાખ્યું હતું. હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં નિપૂર્ણ સુમતિએ પતિના ખાનદાની વેપારમાં અભિવૃદ્ધી કરી હતી. 1923માં પતિએ સ્થાપેલી સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીમાં મેનેજીંગ ડિરેક્ટર તરીકે તેઓ જોડાયા હતાં. જ્યારે 1941 માં કંપનીની સંપૂર્ણ કમાન તેમણે પોતાના હાથમાં લીધી અને રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણથી સ્થપાયેલી આ કંપનીને અંગ્રેજ અમલની તુમાખી વચ્ચે વૈશ્વિક પ્રસિદ્ધી અપાવી હતી. આમ ભારતમાં વહાણવટાના ઇતિહાસમાં સુમતિનું નામ અમર થઈ ગયું.
ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધી ગાઢ રીતે તેમનાથી પ્રભાવીત હતાં અને તેમણે સુમતિ મોરારજીની કંપનીની પ્રશંસા પણ કરી હતી. સુમતિ મોરારજીને ઈ.સ. 1971માં નાગરીક સેવાઓ માટે દેશનું દ્વિતીય સર્વોચ્ચ નાગરિક સન્માન "પદ્મવિભૂષણ" થી નવાજવામાં આવ્યા હતાં. આવા વિદુષી, ઉદ્યોગસાહસિક, દક્ષ વ્યવસ્થાપક અને સમાજસેવીનું 27 જૂન 1998 ના રોજ હૃદયરોગના હુમલાથી 91 વર્ષની વયે અવસાન થયું હતું.
