પાલિતાણા તાલુકાનાં હણોલ ગામે ત્રણ દિવસીય 'વિકાસ મહોત્સવ' યોજાશે
Live TV
-
પાલિતાણા તાલુકાનાં હણોલ ગામે ૧૩ થી ૧૫ જાન્યુઆરી સુધી વિવિધ વિકાસ પ્રકલ્પોનાં લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. ‘ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ’ અંતર્ગત ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી કરવામાં આવેલા પ્રકલ્પોને આ ઉજવણી દરમિયાન ખૂલ્લા મૂકવામાં આવશે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન અને ગામલોકોના સામૂહિક પ્રયાસોથી હણોલ ગામે અમૃત સરોવર, રિડેવલપમેન્ટ સેન્ટર, કોમ્યુનિટી હૉલ, રમત-ગમત સંકુલ, લાઇબ્રેરી, ઓવરબ્રિજ, એનિમલ હોસ્ટેલ અને નવાં તળાવનું લોકાર્પણ કરાશે
ત્રણ દિવસ ચાલનારી આ ઉજવણી દરમિયાન ૧૩મી જાન્યુઆરીના રોજ લોટીયાત્રા, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું લોકાર્પણ, અમૃત સરોવરનું લોકાર્પણ, યજ્ઞ, સ્ટેજ કાર્યક્રમ, કોમ્યુનિટી હોલનું લોકાર્પણ અને રસગરબાના કાર્યક્રમો યોજાશે.
ત્યારબાદ ૧૪મી જાન્યુઆરીના રોજ પ્રભાત ફેરી, સામૂહિક ગામ સફાઇ, યજ્ઞ, એનિમલ હોસ્ટેલ, નવુ તળાવ અને રમત-ગમત સંકુલનું લોકાર્પણ, સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ તા. ૧૫ જાન્યુઆરીના રોજ પ્રભાતફેરી, લોટી પધરામણી ગંગા અવતરણની સાથે કાર્યક્રમ સમાપન અને નવા કાર્યનો શિલાન્યાસના કાર્યક્રમો યોજાશે.