શહીદ સૈનિક પરિવાર માટે સંવેદનાનું સૂત્ર બનતી કોલેજીયન યુવતી
Live TV
-
વિધિ જાદવે અત્યાર સુધી 153થી વધુ શહીદ પરિવારોની મુલાકાત લીધી
નડીયાદની વિધિ જાદવે અત્યાર સુધીમાં સેંકડો સૈનિક પરિવારોની મુલાકાત લીધી છે. ખાસ કરીને દેશની સેવા કરતા કોઇ જવાન શહીદ થઈ જાય એ ઘટના વિધિના ધ્યાનમાં આવે કે તુરત જ તે આ દેશની સુરક્ષા માટે પોતાનો આધાર ગુમાવી બેઠેલા પરિવારને મળવા અને મદદરૂપ બનવાનું આયોજન કરે છે. તાજેતરમાં સિક્કિમ ખાતે રોડ દુર્ઘટનામાંમાં શહીદ થયેલા જવાનોના પરિવારોને વિધિએ આશ્વાસન પત્ર તેમજ 5000 રૂપિય ની ફૂલ નહીં તો ફુલની પાંખડી સમાન આર્થિક મદદ મોકલી આપી છે.
આ દુર્ઘટનામાં શહીદ થયેલા કુલ 16 જવાનોના પરિવારો પૈકી વિધિએ હાલમાં જે પરિવારોની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી તેવા શહીદ થયેલા પાંચ જવાનોના પરિવારોને 5000-5000રૂપિયાની રકમ મોકલી આપી છે.જ્યારે બાકીના તમામ શહીદ પરિવારોને પણ ટુંક સમયમાં આર્થિક મદદ મોકલી આપનાર છે. વધુમાં વિધિ જાદવ આ પરિવારોની મુલાકાત પણ આ વેકેશનમાં લેશે. વિધિને તેના આ કાર્ય બાબતે પૂછવામાં આવેલ કે તેઓ આ શહીદ પરિવારો માટે બીજું કઈ કરવાનો કોઈ વિચાર આવે છે? તો આ સંદર્ભે તેણીએ જણાવ્યું કે તેઓ શહીદ થયેલા સૈનિક પરિવારો પૈકી જે પરિવારોની આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા પરિવારના સંતાનોના શિક્ષણનો ખર્ચ તથા ખાસ કરીને તેઓની દિકરીઓના લગ્નમાં પણ આર્થિક મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
મધ્યમ કે કદાચ ઉચ્ચ મધ્યમ વર્ગમાં મૂકી શકાય એવો એનો પરિવાર છે. પરંતુ ઘણીવાર કોઈ દાતા ના મળે તો આ પરિવાર પોતે આર્થિક ભારણ વેઠીને વિધિની સૈનિક પરિવાર પ્રત્યે સહૃદયતાની આ પ્રવૃતિ ચાલુ રાખવામાં પીછેહઠ નથી કરતો. પોતાના ક્ષેત્રમાં નામાંકિત અને સમર્પિત દિકરી વિધિ જાદવ સરહદ પર શહીદ થતા દેશના સપુતો પ્રતિ સંવેદના તથા ફૂલની પાંખડીરૂપ નાણાંકીય સેવા માટે વરસોથી સક્રિય છે.આટલું જ પૂરતું નહિ પણ લાંબાગાળાના લાગણીસભર સંબંધોથી વતન માટે શહીદ થનાર પરિવારોને મદદરૂપ બને છે. આણંદની કોલેજમાં પોલિટિકલ સાયન્સ અને ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિધિ જાદવ વેકેશનમાં હિલસ્ટેશન કે પ્રવાસધામ પર ન જતાં આવા દેશ માટે શહીદ થયેલા જવાનોના કુટુંબ વચ્ચે જઈ પોતાપણું બતાવીને તેમની સંવેદનાના દુ:ખને હળવું કરે છે.
આ દિકરી સંવેદના તથા માનવતાના આ મિશન પર દિલ્હી-પંજાબ-હરિયાણા-ઉત્તરાખંડ-રાજસ્થાનના શહિદ થયેલા સૈનિકોના પરિવારોની મુલાકાત લીધી હતી. શહીદ થયેલા જવાનોના પરિવારોને વિધિ આત્મિયતા અને સંવેદનાથી મળે છે અને પોતાપણું બતાવે છે. વિધિના આગમનને દરેક શહિદ પરિવારે હર્ષ, આનંદ અને ગર્વથી વધાવે છે.વિધિની વિદાય વેળાએ આ પરિવારોના ગર્વમાં છુપાયેલી વેદના પણ જોવા મળી હતી. વિધિ જાદવના માનવતા અને સંવેદનાસભર આ વિરાટકાર્યને સમાજે બિરદાવી શહીદ વીરોના પરિવારો માટેના રાષ્ટ્રભક્તિના આ યજ્ઞમાં આર્થિક આહુતિ આપી શહીદ સૈનિક પરિવારોને મદદરૂપ થઈ દેશનું ઋણ અદા કરવું જોઈએ.
નડિયાદની વિધિ જાદવ રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબના શહિદ થયેલા આપણા દેશના સૈનિકોના પરિવારોની મુલાકાત લઈ ચૂકી છે. વિધિ જાદવે અત્યાર સુધી 153થી વધુ શહીદ પરિવારોની મુલાકાત લીધી છે. દુનિયામાં પોતાના હોય તેના પ્રત્યે આદર, લાગણી અને સંવેદના તો સૌને હોય,પરંતુ જેમની સાથે કોઈ લેવાદેવા ન હોય તેમ છતાં તેમના હિત અને કલ્યાણ માટે પ્રયત્નશીલ હોય તેવા માનવો જ માનવ ગરિમાનું સાચું માધ્યમ બનતા હોય છે. સો સો સલામ છે, નડિયાદની આ દીકરીને...
