બીજી ટેસ્ટઃ ભારતે પ્રથમ દિવસે 6 વિકેટે 336 રન બનાવ્યા, યશસ્વીની અણનમ સદી
Live TV
-
ઓપનર યશસ્વી જયસ્વાલની શાનદાર સદીની મદદથી ભારતે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે 6 વિકેટે 336 રન બનાવી લીધા છે. યશસ્વી 177 અને રવિચંદ્રન અશ્વિન 5 રન બનાવીને અણનમ છે.
આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત અને યશસ્વીએ ભારતીય ટીમને સારી શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 40 રન જોડ્યા હતા. રોહિતનું ખરાબ ફોર્મ આ મેચમાં પણ ચાલુ રહ્યું અને તે માત્ર 14 રન બનાવીને પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહેલા શોએબ બસીરનો શિકાર બન્યો.
શોએબે રોહિતને લેગ સ્લિપમાં ઓલી પોપના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી યશસ્વી અને શુભમન ગીલે ઇનિંગ્સને આગળ ધપાવી હતી. બીજી વિકેટ માટે 49 રનની ભાગીદારી કરી હતી. જો કે, જ્યારે એવું લાગતું હતું કે ગીલે તેની લય પાછી મેળવી લીધી છે, ત્યારે જેમ્સ એન્ડરસને તેને વિકેટકીપર ફોક્સના હાથે કેચ કરાવીને પેવેલિયન મોકલી દીધો. ગિલે 46 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 34 રન બનાવ્યા હતા.
અહીંથી યશસ્વીએ શ્રેયસ અય્યર સાથે ત્રીજી વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી હતી. ઐયર 179ના કુલ સ્કોર પર 27 રન બનાવીને ટોમ હાર્ટલીનો શિકાર બન્યો હતો. પોતાની ટેસ્ટ ડેબ્યૂ રમી રહેલા રજત પાટીદાર અય્યર બાદ બેટિંગ કરવા આવ્યા અને યશસ્વીને સારો સાથ આપ્યો અને ચોથી વિકેટ માટે 70 રન જોડ્યા હતા. 249ના કુલ સ્કોર પર પાટીદાર 32 રન બનાવીને રેહાન અહેમદના હાથે બોલ્ડ થયો હતો.
આ પછી યશસ્વી અને અક્ષર પટેલે ઇનિંગ્સને આગળ ધપાવી હતી. આ દરમિયાન યશસ્વીએ પોતાના 150 રન પૂરા કર્યા હતા. શોએબ બશીરે 301ના કુલ સ્કોર પર અક્ષર પટેલને આઉટ કરીને ભારતને મોટો ઝટકો આપ્યો હતો. અક્ષરે 27 રન બનાવ્યા હતા. આ પછી કેએસ ભરત 330ના કુલ સ્કોર પર 17 રન બનાવીને રેહાન અહેમદનો શિકાર બન્યો હતો. દિવસની રમતના અંતે ભારતે 6 વિકેટે 336 રન બનાવી લીધા હતા. યશસ્વી 177 અને રવિચંદ્રન અશ્વિન 5 રન બનાવીને અણનમ છે.
ઈંગ્લેન્ડ તરફથી શોએબ બસીર અને રેહાન અહેમદે બે-બે, ટોમ હાર્ટલી અને જેમ્સ એન્ડરસને 1-1 વિકેટ લીધી હતી.