ગણદેવીના કલ્પનાબેને અંગદાન કરીને પાંચ વ્યક્તિઓને આપ્યું નવજીવન
Live TV
-
ગણદેવીના કલ્પનાબેન ઠાકોરભાઈ પટેલના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરીને પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું.
3 જુનના રોજ એકાએક બ્લડ પ્રેશર વધી જવાને કારણે કલ્પનાબેનને લકવાની અસર જણાતા તેમને તાત્કાલિક ગણદેવીની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને સુરતની અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. તા.17 જુનના રોજ ડોકટરોએ કલ્પનાબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
પરિવારે કર્યો અંગદાનનો નિર્ણય
ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાએ કલ્પનાબેનના પરિવારને ઓર્ગન ડોનેટ કરવા અંગેની જાણકારી આપી હતી. કલ્પનાબેનના પરિવારમાં પતિ, બે પુત્ર તથા બે પુત્રીઓ છે. કલ્પનાબેનના પુત્ર પ્રતીકે જણાવ્યું કે, મારા મમ્મી ખુબ જ માયાળુ સ્વભાવના અને ધાર્મિક હતા. તેઓ જીવનમાં હંમેશા બીજી વ્યક્તિઓને ખુશ જોવા માંગતા હતા. બ્રેઈનડેડ થવાના કારણે તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે જેથી અમારા પરિવારે તેમના અંગદાન થકી બીજાને નવજીવન મળી રહે તે માટે અંગોને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો હતો.પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ SOTTOનો સંપર્ક કરીને કિડની અને લિવરનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ને આપવામાં આવ્યું જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.
જરૂરિયાતમંદોને મળ્યું નવજીવન
સુરતની યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલથી અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) હોસ્પિટલ સુધીનું 265 કિ.મિ રોડ માર્ગનું અંતર 220 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી બે કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.
