નડિયાદ: સિવિલના દર્દીઓને ઝડપથી ઓક્સિજન મળે તેવી સુવિધા ઉપલબ્ધ
Live TV
-
નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ૨૧ ટનની સ્ટોરેજ લીકવિડ ઓક્સિજન ટેન્ક બનાવવામાં આવી છે. જેનાથી કોરોનાના દર્દીઓને ઓક્સિજન ઝડપથી પહોંચાડવામાં સરળતા રહેશે
સમગ્ર વિશ્વ આજે કોરોના સામે જંગ લડી રહ્યું છે ત્યારે અને પ્રકારની અસુવિધાઓનો સામનો કરવાનો વારો પણ આવ્યો છે ત્યારે નડિયાદમાં કોરોનાના દર્દીઓને જરૂરરિયાત પ્રમાણે ઝડપથી ઓક્સિજન પુરો પાડી શકાય એ હેતુથી દાન મેળવીને નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ૨૧ ટનની સ્ટોરેજ લીકવિડ ઓક્સિજન ટેન્ક બનાવવામાં આવી છે.
નડિયાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની ઓક્સિજનની જરૂરીયાતને પહોંચી વળવા માટે ઓક્સિજન ટેન્ક બનાવવા માટે રૂ.૫૦ લાખની જરૂરીયાત હતી. આ જરૂરીયાતને ધ્યાને રાખી સ્થાનિક ક્ક્ષાએ આ સગવડતા ઉપલબ્ધ કરાવી શકાય તે માટે ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ અને જિલ્લા કલેકટર આઇ.કે.પટેલએ ઓક્સિજનની બાબતે સિવિલ હોસ્પિટલને સ્વનિર્ભર કરવાનું સ્વપ્ન સાર્થક કરવા માટે દાન આપવા અપીલ કરી હતી. આ અપીલને સારો પ્રતિસાદ સાંપડયો હતો અને ટુંક સમયમાં જ જરૂરીયાત મુજબનું રૂ.૫૦ લાખનું માતબર ભંડોળ જિલ્લાના દાતાઓ દ્વારા આપવામાં આવ્યું હતું. આ કામગીરી ઝડપથી પુરી કરવા માટે જિલ્લાના અગ્રણી પદાધિકારીઓ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવી હતી. સ્ટોરેજ ટેન્ક, તેનું ઇન્સ્ટોલેશન અને તેમાં ઓકિસજનનું સ્ટોરેજ પણ પૂર્ણ થતા વિધાનસભાના દંડક પંકજભાઇ દેસાઇ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ અને સિવિલ સર્જન તૃપ્તિબેન શાહના વરદ હસ્તે ઓક્સિજન ટેન્કમાંથી સિવિલના દર્દીઓને ઓક્સિજન આપવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ૨૧ ટનની સ્ટોરેજ લીકવિડ ઓક્સિજન ટેન્ક પુરેપુરા ડોનેશનના આધારે બનાવવામાં આવી છે. આ ટેન્ક થકી કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને જરૂરિુયાત પ્રમાણે તાત્કાલિક ઓક્સિજન પુરો પાડી શકાશે. આપણી જરૂરીયાત ૨૪ કલાક દરમ્યાન ૧૮ ટનની હોય છે. તેની સામે આ ૨૧ ટનની ટેન્ક મળવાથી આપણને ખૂબ જ મોટી રાહત થઇ છે.
ઓક્સિજન જામનગરથી મંગાવવામાં આવતો ત્યારે ઓક્સિજન નડિયાદ સુધી પહોંચતા સમય લાગતો હતો અને દર્દીઓની જરૂરીયાત મુજબ અંદાજે ૪ ટન જેટલો ઓક્સિજન ખૂટતો હતો. નાણા માટે કલેકટર આઇ.કે.પટેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણએ સાથ સહકાર આપ્યો હતો. જેથી જરૂરીયાત મુજબની રકમ એકત્રિત કરી શકાઈ હતી. આ અંગે વધુમાં પોતાના સંબોધનમાં સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતુ કે, આ પ્રસંગે ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી બચાણી, જિલ્લા સિવિલ સર્જન તૃપ્તિબેન શાહ, આરએમઓ ર્ડા. નાસર, ર્ડા.મનીષ જાડાવાલાનો આભાર વ્યક્ત કર્યો હતો.
