નર્મદા જિલ્લા વહિવટી તંત્ર નોંધારાનો બન્યું આધાર
Live TV
-
રેન-બસેરામાં વસતા લોકો માટે સવાર- સાંજના ભોજનની ચિંતા જિલ્લા વહીવટી તંત્રએ કરી છે અને તેઓ માટે ખાસ સેન્ટ્રલ કિચન ખુલ્લું મુકાયું છે .
કોરોનાના આ કપરા કાળમાં સમગ્ર માનવ સમુદાય ભિન્ન-ભિન્ન પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરે છે. કપરી પરિસ્થિતિમાં જો કોઈની સહાયતા મળી જાય તો કેટલો હાશકારો અનુભવાય…? મુશ્કેલીઓનો સામના કરતા પડી ભાગેલો માણસ ફરીથી બેઠો થઈ શકે છે. કઈંક આ પ્રકારનું જ કાર્ય નર્મદાના રાજપીપળામાં થયું છે. શું છે આ સમગ્ર સેવાયજ્ઞ જાણવા માટે આગળ વાંચો…
નર્મદા જિલ્લા કલેકટર ડી. એ.શાહના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા વહિવટી તંત્ર નોંધારાનો આધાર બની રહ્યો છે. જેમાં રાજપીપલાની સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ જેવી સામાજિક સંસ્થા જોડાઈ છે. જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આદરાયેલા નવતર પ્રોજેક્ટમાં નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાના સાવ અસહાય એવા ૨૨ જેટલા પરિવારોના આશરે ૪૫ જેટલા સદસ્યો કે જેમાના કેટલાક રેન-બસેરામાં તો કેટલાક ફૂટ પાથ પર રહે છે તેઓના સવાર- સાંજના ભોજનની ચિંતા જિલ્લા વહીવટી તંત્ર એ કરી છે અને તેઓ માટે ખાસ સેન્ટ્રલ કિચન ખુલ્લું મુકાયું છે .
રાજપીપળાની સામાજિક સંસ્થા દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે જેને માટે આઠ જેટલા સ્વયંસેવકો અને એક ભોજન રથ વાનનો પણ સમાવેશ થાય છે પ્રથમ તબકકામાં આ સેન્ટ્રલ કિચનના પ્રારંભે રાજપીપલા શહેરના ૧૨થી ૧૫ જેટલા વિવિધ વિસ્તારોમાં ભોજન રથ સેવા મારફત લાભાર્થીઓને કાયમી ઉપયોગમાં લેવા માટે થાળી, વાટકો-ચમચી-ગ્લાસના સેટના વિતરણની સાથોસાથ બપોર અને સાંજનું ભોજન પીરસવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત આ તમામ વ્યક્તિઓને સેનેટાઇઝર અને માસ્કનું પણ વિતરણ કરાયું હતું. હવે નિયમિત રીતે શહેરમાં આ પરિવારોને બે ટંક તેમના જે તે વિસ્તારમાં જઇને રોજબરોજ ભોજનનું વિતરણ કરવામાં આવશે,રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તેજસભાઇ ગાંધીએ આ સેન્ટ્રલ કિચન અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ તરફથી જે લોકો ફૂટપાથ ઉપર રહે છે. નિરાધાર લોકો છે, જે ભટકતું જીવન જીવે છે, જેમને રહેવા-જમવાની તકલીફ છે, તેવાઓ માટે જિલ્લા વહિવટીતંત્ર અને વણિક સમાજ દ્રારા તેમને બે ટંક જમવાનું પહોચતું કરીશું. અને તે સિવાય સરકારી યોજનાઓથી પગભર થવાની સાથે અને તેમનું જીવન ઉન્નત બને તેવા પ્રયત્નો કરીશું. જિલ્લા વહિવટીતંત્રનો અમોને ખૂબ સહયોગ મળ્યો છે ત્યારે અમે પણ આ સેવાયજ્ઞ કરીને અમારા ઉપર વહિવટીતંત્રએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરીશું.
