ભાવનગર અને અમરેલીથી ઈન્ડિયા ગઠબંધનને રાહત, ઉમેશ મકવાણા, જેનીબેન ઠુમ્મરનું ફોર્મ મંજૂર
Live TV
-
એક તરફ સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થઈ ગયું છે. તો બીજી તરફ ભાવનગર લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા અને અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યું હતું.
ભાવનગર લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ઉમેદવારી પત્ર આખરે મંજૂર કરવામાં આવ્યું હતું. ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાએ આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મ અંગે ફોર્મ માં રહેલી વિસંગતતા અંગે વાંધા અરજી દાખલ કરી હતી. જેને લઈને ચૂંટણી અધિકારી દ્વારા વાંધા અરજી સામે જવાબ રજૂ કરવા ઉમેશ મકવાણા ને 24 કલાકનો સમય આપ્યો હતો. જેની સુનાવણી આજે યોજાઈ હતી. ઉમેશ મકવાણા એ કહ્યું કે તંત્ર પર મને પૂરો વિશ્વાસ હતો, અને ચૂંટણી અધિકારીએ મારી વાત સાંભળીને જે નિર્ણય કર્યો છે તેને આવકારું છું.
અમરેલી લોકસભા બેઠક પર જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી દ્વારા માન્ય રાખવામાં આવ્યું હતું. નોંધનીય છે કે જેની ઠુમ્મરના સોગંદનામામાં મિલકત મુદ્દે સ્પષ્ટતા ન હોવાથી ભાજપ દ્વારા વાંધો રજૂ કરવામાં આવ્યો હતો. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષની દલીલો સાંભળવામાં આવી હતી. તેમજ તમામ ચકાસણી બાદ જેનીબેન ઠુમ્મરનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું. કોંગ્રેસના પક્ષમાં નિર્ણય આવતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો છે.