24 કલાકના રાજકીય ડ્રામા બાદ આખરે સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ રદ્દ
Live TV
-
ગુજરાતમાં આગામી 7 મેના રોજ યોજાવાની લોકસભાની ચૂંટણી. આ ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યું છે.
નિલેશ કુંભાણીએ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે જે ટેકેદારોની સહી કરાવી હતી તે સહી ખોટી હોવાનો દાવો કરી ભાજપ દ્વારા વાંધા અરજી કરાઈ હતી. ભાજપની ફરિયાદ બાદ કોંગ્રેસ ઉમેદવારનાં તમામ ટેકેદારો ગાયબ થયા હતા. ટેકેદારોને હાજર કરવા કલેક્ટરે રવિવારે સવાર સુધી સમય આપ્યો હતો. ટેકેદારો સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ ઉમેદવાર નિલેષ કુંભાણી અને સુરેશ પડસાળાની ઉમેદવારી રદ્દ કરાઈ હતી. ત્રણમાંથી બે ઉમેદવાર સાથે કુંભાણીના પારિવારિક સંબંધો છે. જગદીશ નાગજીભાઈ સાવલિયા નિલેશ કુંભાણીના સગા બનેવી છે. જ્યારે ધ્રુવીન ધીરુભાઈ ધામેલીયા કુંભાણીનો સગો ભાણિયો છે. જયારે અન્ય એક તેમનો ભાગીદાર છે. આ સમગ્ર મામલે કુંભાણી દ્વારા ત્રણ અલગ અલગ અરજીઓ ચૂંટણી અધિકારી સમક્ષ કરવામાં આવી છે, જેમાં ત્રણેય સમર્થકોનું અપરણ થયું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.. સાથે જ તેમને શોધી કાઢવા માટે પોલીસને અરજી કરવામાં આવી છે.
આ મામલે હવે કોંગ્રેસ કોઈ પણ સંજોગે લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર સૌથી મોટો આક્ષેપ કર્યો છે. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, 'નિલેશ કુંભાણીને પૈસાની ઓફર કરાઈ હતી. નિલેશ કુંભાણીએ તેના પર દબાણ હોવાની વાત મને કરી હતી. સામાજિક રીતે હેરાન કરાઈ રહ્યા હોવાની ફરિયાદ પણ તેમણે કરી હતી. કાયદાની જોગવાઈ મુજબ જો ઉમેદવારી પત્રમાં ટેકેદારની સહી ના હોય તો, ઉમેદવારી રદ થાય. ટેકેદાર ફોર્મ ભરાઈ ગયા બાદ કહે કે મારી સહી નથી તો ફોર્મ રદ ના થાય.'
શક્તિસિંહે ભૂતકાળનો દાખલો ટાંકિને કહ્યું હતું કે, '2012ની વિધાનસભાની ચૂંટણીમાં સુરત પૂર્વમાં આવી જ સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે આપેલો નિર્ણય અને હાલમાં આપેલ નિર્ણય બન્ને અલગ અલગ છે. એક જ બાબતે બે અલગ અલગ ઉમેદવારો માટે અલગ અલગ નિર્ણય કેવી રીતે હોઈ શકે. ચૂંટણી પંચને વિનંતી કરું છું કે નિષ્પક્ષ ચૂંટણી કરાવો.'