મુખ્યમંત્રીએ નાયરા એનર્જી દ્વારા શરૂ કરવામાં આવેલા કોવીડ કેર સેન્ટરનું લોકાર્પણ કર્યું
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયરા એનર્જી દ્વારા શરૂ કરવામાં આવેલા કોવીડ કેર સેન્ટરનું ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઇ-લોકાર્પણ કર્યું હતું. નાયરા ગ્રુપને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ઝાખરમાં 100 બેડનું અત્યાધુનિક કોવિડ કેર સેન્ટર ઊભુ કરી નાયરા ગૃપે આવા કપરા સમયે પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.
રાજ્ય સરકાર PSA પ્લાન્ટ થકી હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરી રહી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે PSA પ્લાન્ટ થકી લિક્વિડ ઓક્સિજન પર નિર્ભર રહ્યા વગર સીધો હવામાંથી જ સકસન પ્રક્રિયા વડે મેડિકલ ઓક્સિજન બનાવી શકાય છે. આનાથી 300 ટન જેટલી ઓક્સિજન ક્ષમતા વધશે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકારે રાજ્યમાં આવા 36 પ્લાન્ટ સ્થાપવાના શરૂ કર્યા છે. નાયરા એનર્જી દ્વારા આવા બે પ્લાન્ટ જામનગર તથા દ્વારકા ખાતે જનસેવામાં સમર્પિત થતાં સ્થાનિક આરોગ્ય તંત્ર કોરોનાની બીજી લહેર સામે વધુ સક્ષમ અને સંભવિત ત્રીજી લહેર સામે સજ્જ બન્યું છે.
કૃષિમંત્રી આર.સી.ફળદુએ જામનગર જિલ્લાની જનતા વતી નાયરા ગ્રુપને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, કોવિડ મહામારીના સમયમાં માનવતાની વ્હારે આવવા માટે નાયરા એનર્જી આગળ આવી છે તે અભિનંદનીય બાબત છે. જામનગરની જનતાને આ મહામારીના સમયમાં નાયરા ગ્રુપ દ્વારા કોવીડ કેર સેન્ટર શરૂ કરવાથી ઘર આંગણે જ શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ થશે.
સાંસદ પૂનમ માડમે આ વિસ્તાર માં નાયરા એનર્જીએ તાત્કાલિક મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ સહિતની તમામ સુવિધાઓ સાથેની કોવીડ હોસ્પિટલ જન સેવામાં સમર્પિત કરી, એ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
સાંસદ પૂનમબહેને જણાવ્યું હતું કે, દર્દીઓને કોવિડ કેર અન્વયે તમામ સુવિધાઓ મળી રહે તે પ્રકારની નાનામાં નાની વ્યવસ્થા અહીં ઊભી કરી નાયરા ગૃપે આ મહામારીના સમયમાં લોકોની ચિંતા કરી છે. એક પરિવારની જેમ નાયરા ગ્રુપ આપણી સાથે મજબૂતીથી ઊભું છે ત્યારે આવનારા સમયમાં નાયરા ગ્રુપ આપણાં વિસ્તારનું મજબૂત અંગ બની જશે તેમ પણ સાંસદએ ઉમેર્યું હતું.
