રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે જીટીયુ ગૌ-અનુસંધાન યુનિટનું લોકાર્પણ
Live TV
-
અમદાવાદની જીટીયુ બની ગૌ અનુસંધાન યુનિટ શરૂ કરનાર રાજ્યની સૌ પ્રથમ યુનિવર્સિટી
સ્વદેશી ગાયના સંવર્ધનથી લઈને દૂધ ઉત્પાદન જેવા ઘણા ઈનોવેશનને વેગ મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા "રાષ્ટ્રીય કામધેનુ આયોગ" નું ગઠન કરવામાં આવ્યું છે. આ આયોગ દ્વારા તમામ યુનિવર્સિટીઓને પણ આ ક્ષેત્રમાં કાર્યરત રહીને કામધેનુ ચેરની રચના કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જે અંતર્ગત તાજેતરમાં જ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા કામધેનુ ચેરની રચના કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે અને કામધેનુ ચેર અંતર્ગત જીટીયુ દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે "જીટીયુ ગૌ અનુસંધાન યુનિટ" નું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ટેક્નોલોજીની મદદથી ખેતી અને ગૌ સંવર્ધને પ્રાથમિકતા આપીને, ન માત્ર ભાવનાત્મક પણ વૈજ્ઞાનિક ઢબે પણ જીટીયુ - ગૌ દ્વારા કાર્યરત રહીને ઉદ્યમીતા અને રોજગારની અનેક તકો પૂરી પાડવામાં આવશે. અતિથિ વિશેષ અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડૉ. વલ્લભભાઈ કથીરીયાએ જીટીયુને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, જીટીયુ આ પ્રકારે ગૌ અનુસંધાન યુનિટ શરૂ કરનાર રાજ્યની સૌ પ્રથમ યુનિવર્સિટી બની છે.
આ ઉપરાંત ટેક્નોલોજીની મદદથી સ્વદેશી ગાયના સંવર્ધન થકી તેના દૂધ ઉત્પાદનમાં વધારો કરવો, ગૌ-મૂત્રનો વૈજ્ઞાનિક ઢબે ખેત ઉત્પાદનમાં જતુંનાશક તરીકેનો વપરાશ જેવી અનેક બાબતેમાં ઈનોવેશનની તકો "જીટીયુ-ગૌ" દ્વારા પૂરી પાડવામાં આવશે. આ સંદર્ભે જાગૃતતા કેળવાય તે માટે સમયાંતરે ખેડૂતો, પશુપાલકો, સંશોધકો અને હોર્ટીકલ્ચરના વિશેષજ્ઞો દ્વારા માહિતીસભર તાલીમનું આયોજન પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં જીટીયુના કુલપતિ ડૉ. નવીન શેઠ, કુલસચિવ ડૉ. કે.એન.ખેર, ગૌ સેવક ગોપાલભાઈ સુતરીયા અને કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના સુપરવાઈઝર ઘનશ્યામભાઈ સીતાપરા ડિજીટલ માધ્યમ થકી ઉપસ્થિત રહ્યા હતાં.
