લોકસભાની આગામી ચૂંટણીને લઈને રાજ્યનું ચૂંટણીતંત્ર સજ્જ
Live TV
-
ગુજરાતની લોકસભાની સુરત સિવાયની 25 બેઠકો તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટેની 5 બેઠકો પર 7 મે ના રોજ મતદાન યોજાનાર છે. મતદાનની પ્રક્રિયા સુગમ બની રહે અને વ્યવસ્થિત મતદાન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ આ અંગે જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વૉટર ઇન્ફોર્મેશન સ્લીપના વિતરણની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રત્યેક મતદાર માટે સમગ્ર મતદાન પ્રક્રિયા યાદગાર અને સુખદ અનુભવ બની રહે તે માટે રાજ્યનું ચૂંટણીતંત્ર પ્રતિબદ્ધ છે.
લોકોને મતદાન માટે જાગૃત કરવા મુખ્ય નિર્વાચન અધિકારીના કાર્યાલય દ્વારા 15 દિવસ માટે સઘન મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આવતીકાલે તા.05 મે ના રોજ સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા ‘Run for Vote’ નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં મતદાર જાગૃતિના બેનર્સ સાથે લોકોને અચૂક મતદાન કરવા માટેનો સંદેશો આપવામાં આવશે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી ગાંધીનગરના ઉદ્યોગ ભવનથી મહાત્મા મંદિર સુધી યોજાનારી Run માં ભાગ લેશે. તેમણે તમામ મતદારોને પોત પોતાના જિલ્લામાં આયોજીત ‘Run for Vote’ માં ભાગ લઈ મતદાન જાગૃતિ અભિયાનમાં સહયોગી બનવા આમંત્રણ પાઠવ્યું હતું.
મતદાનના દિવસે ગરમી અને Heat Wave ની સ્થિતીને પહોંચી વળવા National Disaster Management Authority દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચનાઓનું પાલન કરવા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ તમામ મતદારોને અપીલ કરી છે. જેમ કે, મતદારે સાથે પાણી રાખવું અને પૂરતાં પ્રમાણમાં પાણી પીવું, હળવા અને આછા રંગના સુતરાઉ કપડાં પહેરવા, ORS/લીંબુ શરબત/ છાસ વગેરેનો ઉપયોગ કરવો. જો બની શકે તો સવારે વહેલા મતદાન કરવા જવું.
પી. ભારતીએ જણાવ્યું હતું કે, લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટાચૂંટણી માટે તારીખ 05 મે, 2024 ના સાંજના 6.00 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 મુજબ મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે.