વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનો રાજકોટથી થયો પ્રારંભ
Live TV
-
દરેક નાગરિકે લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ અવશ્ય કરાવવો જોઈએ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ મુલાકાત દરમિયાન નાથધામ હવેલી ખાતેથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનો પ્રારંભ કરાવ્યો હતો. વૈષ્ણવાચાર્ય ગોસ્વામી વ્રજરાજકુમારજીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવાયેલ આ થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવમાં આગામી 10 વર્ષમાં દેશભરમાં 1 કરોડ જેટલા નિ:શૂલ્ક થેલેસેમિયા ટેસ્ટ કરાશે.
દરેક નાગરિકે લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ અવશ્ય કરાવવો જોઈએ
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા સાથે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પુન: જાગરણનો નવો યુગ શરૂ થયો છે. નાથધામ હવેલીના સપ્તમ્ પાટોત્સવ પ્રસંગે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા આરોગ્ય સેવાનું મહાઅભિયાન શરૂ થઈ રહ્યું છે, જે માનવસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરે છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સશક્ત ભારત માટે નિરોગી સમાજના નિર્માણને સૌથી વધુ મહત્વ આપ્યું છે. વડાપ્રધાનની આ નેમમાં ધાર્મિક સંગઠનો, સમાજસેવી સંસ્થાઓ પણ અગ્રીમ યોગદાન આપે છે. થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવ અને દેશભરમાં એક કરોડ નિ:શૂલ્ક ટેસ્ટની મહત્વની આરોગ્ય સેવાની દિશામાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનએ આગવી પહેલ કરી છે. ત્યારે દરેક નાગરિકે લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ અવશ્ય કરાવવો જોઈએ.
સમૃદ્ધ સમાજનું નિર્માણ શક્ય બનશે એવો વિશ્વાસ આ તકે તેમણે વ્યક્ત કર્યો હતો
થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી,દવાઓ તેમજ જરૂરી તમામ રિપોર્ટની સુવિધા સરકાર વિનામૂલ્યે આપે છે. તેમજ આયુર્વેદ પદ્ધતિથી પણ સારવાર માટેના સ્પેશ્યાલીટી ક્લીનિક શરૂ કરાયા છે. બાળકોના આરોગ્ય સુખાકારી માટે દર વર્ષે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન થાય છે. રાજ્યમાં આરોગ્ય માળખાને વધુ મજબૂત કરવા આ વર્ષના બજેટમાં 16 ટકાનો વધારો કરી રૂ. 23,385 કરોડની જોગવાઈ કરી છે. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વડાપ્રધાનએ સમાજશક્તિના સામર્થ્યથી દરેક સમાજને સામાજિક જનજાગૃતિના અભિયાનોમાં વધુને વધુ યોગદાન આપવાનું આહવાન કર્યું છે ત્યારે 'એક પેડ મા કે નામ', 'કેચ ધ રેઈન', 'સ્વચ્છ ભારત', મેદસ્વિતા મુક્ત ભારત સહિતના અભિયાનોને સફળ બનાવવા જનભાગીદારી જરૂરી છે. ત્યારે 'સેવા એ જ ભક્તિ, સેવા એ જ સંગઠન’એ ઉદ્દેશ્ય સાથે વ્રજરાજકુમારજીના માર્ગદર્શનમાં વી.વાય.ઓ. જેવા સંગઠનો અને સૌ સરકારના પ્રયાસોમાં જોડાઈને રાષ્ટ્રહિત માટે યોગદાન આપીને સ્વસ્થ, સુરક્ષિત અને સમૃદ્ધ સમાજનું નિર્માણ શક્ય બનશે એવો વિશ્વાસ આ તકે તેમણે વ્યક્ત કર્યો હતો.
વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્તમ સેવા આપનારા 10 પ્રતિનિધિઓને સન્માનિત કર્યા હતા
આ કાર્યક્રમમાં ગોસ્વામી વ્રજરાજકુમારજીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપીને કર્યું હતું. મુખ્યમંત્રીએ સંસ્થાના 07 દાતાઓને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. તેમજ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનની વિવિધ શાખાઓમાં ધાર્મિક, સામાજિક અને સેવાકીય જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્તમ સેવા આપનારા 10 પ્રતિનિધિઓને સન્માનિત કર્યા હતા. આ અવસરે મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ અને જીતુભાઈ વાઘાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ મેયર ડો. પ્રદીપભાઈ ડવ, અગ્રણીઓ ડો. ભરતભાઈ બોઘરા, માધવભાઈ દવે, લીલુબેન જાદવ, ગુણવતંભાઈ ડેલાવાળા, ટ્રસ્ટીઓ અશોકભાઈ શાહ, મૌલેશભાઈ ઉકાણી સહિતના અગ્રણીઓ તેમજ કલેક્ટર પ્રભવ જોશી, શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના અધિકારીઓ, આગેવાનો તથા વૈષ્ણવજનો ઉપસ્થિત રહ્યા હતા.