હાલમાં 15 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ આગળ વધી રહેલું તાઉ તે વાવાઝોડુ
Live TV
-
અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન/વાવાઝોડું "તાઉ'તે'' જે હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે; તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા 06 કલાકથી આશરે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયું છે. આ વાવાઝોડું મુંબઈની પશ્ચિમે 150 કિલોમીટર, દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વ દરિયાકાંઠાથી આશરે 220 કિલોમીટર, વેરાવળ બંદરના દક્ષિણપૂર્વ દિશાથી આશરે 260 કિલોમીટર તથા પાકિસ્તાનના કરાંચી બંદરના પૂર્વ-દક્ષિણપૂર્વ દિશાથી લગભગ 490 કિલોમીટરના અંતરે છે. અત્યંત તીવ્ર ચક્રવાત "તાઉ'તે' ગુજરાતની ઉત્તર દિશાના ઉત્તરીય-પશ્ચિમી કાંઠે પહોંચવાની શક્યતાઓ છે. આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155 -165 કિમી/કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી/કલાક પણ થઇ શકે છે. અરબી સમુદ્રમાંથી ઉઠેલા તાઉતે વાવાઝોડાને ધ્યાનમાં લઈને અનેક રાજ્યોમાં એલર્ટ અપાયુ છે. હવામાન વિભાગનાં અનુસાર તાઉતે વાવાઝોડુ આજે સાંજે ગુજરાતનાં દરિયા કાંઠે પહોંચી શકે છે અને 18મી મેનાં સવારે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતનાં કાંઠાને પાર કરે તેવી શક્યતાઓ છે. આ દરમ્યાન 150 થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સાથે જ ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે. હવામાન વિભાગે કહ્યું કે વાવાઝોડુ તાઉ-તે નાં કારણે આજે મહારાષ્ટ્રનાં મુંબઈ, ઉત્તરી કોંકણ, થાણે અને પાલધરનાં વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. મહત્વનું છે કે વાવાઝોડાનાં કારણે 185 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે જેથી મુંબઈનાં એરપોર્ટને પણ બપોરે 2 વાગે સુધી બંધ કરી દેવાયો છે. હાલમાં તાઉ તે વાવાઝોડુ 15 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ આગળ વધી રહ્યું છે.
