‘મા- અમૃતમ્ વાત્સલ્ય’ યોજનાના દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ અપાશે: નીતિન પટેલ
Live TV
-
રાજ્ય સરકારે મા-અમૃતમ વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓને આખા પરિવારદીઠ એક કાર્ડના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે આજે આ જાહેરાત કરતાં જણાવ્યું કે, લાભાર્થીઓને સારવાર મેળવવામાં સરળતા રહે તે માટે આરોગ્ય વિભાગે લાભાર્થીઓને અલગ અલગ કાર્ડ આપવાનો નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યુ કે, હાલમાં રાજ્યની સરકારી હોસ્પિટલ, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નવા કાર્ડ કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તેથી બધા લાભાર્થીઓ નવા કાર્ડ આ હોસ્પિટલોમાંથી કઢાવી શકશે. જ્યાં સુધી નવું કાર્ડ કાઢવામાં ના આવે ત્યાં સુધી જૂના કાર્ડ પરનો લાભ પહેલાંની જેમ જ ચાલુ રહેશે. જેથી કોઇની સારવાર અટકશે નહીં. નીતિન પટેલે “મા” યોજનાના દરેક લાભાર્થીઓએ હવે નવું કાર્ડ તાત્કાલિક મેળવી લેવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે મા/મા વાત્સલ્ય કાર્ડ નાગરિકોને હવે, સરકારી હોસ્પિટલોમાંથી બનાવી આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા “આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના”,“મા” યોજના અને “મા વાત્સલ્ય” યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને કુટુંબદીઠ વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીનું આરોગ્ય કવચ વિનામૂલ્ય પૂરું પાડવામાં આવે છે.
