ASEAN સમિટમાં હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં મુક્ત અને સમાવેશી વ્યવસ્થા માટે ભારતે કરી હાકલ
Live TV
-
ભારતે તમામ રાષ્ટ્રોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના આધારે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં મુક્ત, ખુલ્લી અને સમાવેશી વ્યવસ્થાની હાકલ કરી છે. આજે કંબોડિયાના સિએમ રીપ ખાતે 9મી આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં સંબોધન કરતાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને નુકસાન પહોંચાડનારી જટીલ ક્રિયાઓ અને ઘટનાઓથી ચિંતિત છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત નેવિગેશન અને ઓવરફ્લાઇટની સ્વતંત્રતા, દરિયાઇ વિવાદોના શાંતિપૂર્ણ સમાધાન અને આંતરરાષ્ટ્રીય કાયદા, ખાસ કરીને યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી 1982નું પાલન કરવા માટે તટસ્થ છે. ભારત માને છે કે પ્રાદેશિક સુરક્ષા પહેલો પરામર્શાત્મક અને વિકાસલક્ષી હોવી જોઈએ જેથી વ્યાપક સર્વસંમતિ પ્રતિબિંબિત થાય.
આંતરરાષ્ટ્રીય અને સીમાપારનો આતંકવાદ એ સૌથી ગંભીર ખતરો હોવાનું જણાવીને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા તાત્કાલિક અને નિશ્ચિત હસ્તક્ષેપની જરૂર હોવાનું રાજનાથ સિંહે કહ્યું હતું. આતંકવાદ એક મોટો ખતરો બની રહ્યો છે પરંતુ વૈશ્વિક કોવિડ રોગચાળાના પરિણામે ઊભી થયેલી અન્ય સુરક્ષા અંગેની ચિંતાઓને અવગણી શકાય નહીં. આ સાથે રાજનાથે આંતરરાષ્ટ્રીય સમુદાયના જવાબદાર સભ્ય તરીકે ભારતે તેના ભાગીદાર દેશો સાથે મોટા પાયે માનવતાવાદી સહાય અને ખાદ્યાન્નના વિસ્તરણમાં કામ કર્યું હોવાનું પણ જણાવ્યુ હતું.
