આજે આર્યસમાજના આગેવાન એવા લાલા લજપતરાયની જન્મજયંતિ
Live TV
-
આજે આર્યસમાજના આગેવાન અને રાષ્ટ્રવાદી લેખક એવા લાલા લજપત રાયની જન્મ જયંતિ છે. લાલા લજપતરાયનો જન્મ પંજાબના લુધિયાણામાં થયો હતો. તેમના પિતા લાલા રાધાકિશન સરકારી સ્કૂલમાં ઉર્દૂના શિક્ષક અને માતા ગુલાબદેવી શીખ હતા. લાલા લજપતરાયે કાયદાની પરીક્ષા પાસ કરી અને કાયદાની પ્રેકટીસ શરુ કરી હતી. લાલા લજપતરાય વિદ્યાર્થીકાળથી સ્વામી દયાનંદ સરસ્વતીથી પ્રભાવિત થઈને આર્યસમાજના કર્યકર બન્યા હતા. લાલા લજપતરાયે આઝાદિની ચળવળોમાં પણ પોતાનો નૌંધપાત્ર ફાળો નોંધાવ્યો હતો. તેઓ બાળ ગંગાધર ટિળકની જેમ સ્વદેશીની હિમાયત અને વિદેશી કાપડનો બહિષ્કાર કરીને અંગ્રેજો સામે લડી લેવામાં માનતા હતા. તેમણે આઝાદિની ચળવળમાં પંજાબ પ્રાંતમાં લોકોમાં સ્વરાજની ભાવના જગાવી લોકોને સ્વરાજ માટે લડતા કર્યો હતા. 1907માં લાલા લજપતરાયે પંજાબના ખેડૂતોની ચળવળની આગેવાની કરી હતી જે માટે તેમને દેશનિકાલાની સજા પણ કરવામાં આવી હતી. લાલા લજપતરાય દ્વારા સ્વરાજની ચળવળ ભારતની ધરતી કરતા વિદેશી ધરતી પર વધારે ચલાવવામાં આવી હતી.
ભારતને સ્વતંત્ર કરાવવા માટે લજપતરાયે જીવન સમર્પી દીધું હતું. તેમનો અભિપ્રાય હતો કે રાજકીય સ્વતંત્રતા મળ્યા વિના દેશની આર્થિક તથા સામાજિક સ્થિતિ સુધારવાનું શક્ય નથી. વિદેશોના પ્રવાસેથી 1920માં પાછા ફર્યા બાદ તેમને લાગ્યું કે સરકારના જુલમમાં વધારો થયો છે. જલિયાંવાલા બાગના હત્યાકાંડની તેમણે કડક ટીકા કરી અને તે માટે પંજાબના ગવર્નર સર માઇકલ ઓ’ડ્વાયર અને તેના સાથીઓને જવાબદાર ઠરાવ્યા. ગાંધીજીએ અસહકારની ચળવળ પાછી ખેંચી લીધી તે પછી તેઓ દેશબંધુ ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુએ સ્થાપેલા સ્વરાજ પક્ષમાં જોડાયા. 30 ઑક્ટોબર, 1928ના રોજ સાયમન કમિશનનો બહિષ્કાર કરવા માટે તેમણે લાહોરમાં એક સરઘસની આગેવાની લીધી. ત્યારે એક અંગ્રેજ પોલીસ અધિકારીએ તેમના માથા અને છાતી ઉપર લાઠીના સખત ફટકા માર્યા. આ ઘાતકી હુમલાથી લાલાજી સખત ઘવાયા અને થોડા દિવસ બાદ અવસાન પામ્યા. લજપતરાય ‘શેરે પંજાબ’ અથવા ‘પંજાબકેસરી’ તરીકે જાણીતા હતા. તેમણે પોતાનું જીવન દેશના ઉત્કર્ષ કાજે સમર્પિત કર્યું હતું.
