કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડમાં વિશ્વના પ્રથમ ઇફ્કો નેનો યુરિયા પ્લાન્ટના 5મા પ્લાન્ટનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ઝારખંડમાં દેવઘર ખાતે વિશ્વના પ્રથમ ઇફ્કો નેનો યુરિયા પ્લાન્ટના પાંચમા પ્લાન્ટનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ બાબા બૈદ્યનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ઇફ્કોના નેનો યુરિયા પ્લાન્ટના શિલાન્યાસ પ્રસંગે ગોડ્ડાના સાંસદ નિશિકાંત દુબે, ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રીએ પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, આજે અહીં ઇફ્કોના નેનો યુરિયા પ્લાન્ટના ઉત્પાદન પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. પ્રવાહી યુરિયા આપણા દેશની જમીનનાં રક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમીન સંરક્ષણને એક મુખ્ય મુદ્દો બનાવી જમીન સંરક્ષણનાં તમામ કાર્યોને પ્રાથમિકતા આપી હતી, પછી તે કુદરતી ખેતી હોય, જૈવિક ખેતી હોય કે નેનો યુરિયાનાં સંશોધનથી ઉત્પાદન સુધીની પ્રક્રિયાને ઝડપી બનાવવાની વાત હોય. તો વધુમાં જણાવ્યું હતું કે, નેનો યુરિયાનાં દેવઘર એકમની રચના થવાથી દર વર્ષે અહીં આશરે 6 કરોડ પ્રવાહી યુરિયાની બોટલનું ઉત્પાદન થશે, જે તેની આયાત પરની આપણી નિર્ભરતા ઘટાડશે અને ભારતને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, 500 ગ્રામની આ નાની બોટલ યુરિયાની આખી બેગનો વિકલ્પ બની જશે. દેશમાં ઘણી જગ્યાએ ખેડૂતો યુરિયાની સાથે સાથે લિક્વિડ યુરિયાનો છંટકાવ પણ કરે છે, જેનાથી માત્ર પાકને જ નહીં પરંતુ જમીનને પણ નુકસાન થાય છે. તેમણે કહ્યું હતું કે, જો ખેડૂતો પ્રવાહી યુરિયાનો છંટકાવ કરે તો ઉત્પાદનમાં સંભવતઃ વધારો થશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, નેનો લિક્વિડ યુરિયા પર સંશોધન માત્ર ધરતી માતાનાં સંરક્ષણ માટે થયું છે. રાસાયણિક ખાતર જમીનમાં રહેલા કુદરતી ખાતરનું ઉત્પાદન કરતા અળસિયાંને મારી નાખે છે, જ્યારે પ્રવાહી યુરિયાનો છંટકાવ કરવાથી જમીનમાં કોઈ પણ પ્રકારનું ઝેર નહીં થાય.
સાથે જ જણાવ્યું હતું કે, જો ખેતીમાંથી કેમિકલ અને યુરિયા ખાતરનો ઉપયોગ જલદી નાબૂદ નહીં થાય તો વિશ્વના અનેક દેશોની જેમ અહીં પણ જમીનની ઉત્પાદકતા પર નકારાત્મક અસર પડશે. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોના સહકારથી રચાયેલી ઇફ્કોએ દુનિયામાં સૌ પ્રથમ લિક્વિડ નેનો યુરિયાનું નિર્માણ કર્યું હતું અને હવે તે ડીએપી (ડી-એમોનિયમ ફોસ્ફેટ) તરફ આગેકૂચ કરી રહ્યું છે. તે ભારત અને સમગ્ર સહકારી ક્ષેત્ર માટે ગૌરવની વાત છે. અને પ્રધાનમંત્રી મોદીએ સહકારિતાને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં ઘણી યોજનાઓની જાહેરાત કરી હતી. આ અંતર્ગત ઉત્પાદન ક્ષેત્રમાં નવાં સહકારી એકમો માટે આવક વેરાનો દર 26 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો છે.
સહકારિતા મંત્રાલયની રચના બાદ સમગ્ર ભારતમાં સહકારી મંડળીઓની ડેટા બૅન્ક બનાવવાનું કામ કરવામાં આવ્યું છે. આગામી 5 વર્ષમાં સરકાર દરેક પંચાયતમાં નવી બહુહેતુક સહકારી મંડળીઓ, પ્રાથમિક મત્સ્યઉદ્યોગ મંડળીઓ અને ડેરી સહકારી મંડળીઓ સ્થાપવાની સુવિધા આપશે. તેમણે કહ્યું હતું કે, દેશમાં વર્ષોથી એવી સ્ટોરેજ પ્રક્રિયાઓ ચાલી રહી છે જે આપણા દેશને અનુકૂળ નથી. ખેડૂતની પેદાશને પહેલા ગોદામોમાં લાવવામાં આવે છે અને પછી ગામમાં ફરી વહેંચવા માટે લઈ જવામાં આવે છે, જેનાં કારણે સરકાર ગરીબોને જે લાભ આપવા માગે છે તેના 50 ટકા ટ્રાન્સપોર્ટેશન પાછળ ખર્ચાય છે. પરંતુ હવે દરેક તાલુકામાં બેથી પાંચ હજાર ટનની સ્ટોરેજ ક્ષમતા ધરાવતાં આધુનિક ગોડાઉનો બનાવવામાં આવશે, જેથી ખેડૂતની પેદાશને તાલુકા કેન્દ્ર ખાતે જ સંગ્રહિત કરવામાં આવશે અને ત્યાંથી મધ્યાહ્ન ભોજન અને મફત અનાજ એજ તાલુકામાં ગરીબોને વિતરણ કરવામાં આવશે, જેનાથી અનાજના પરિવહન ખર્ચમાં આશરે 80 ટકાનો ઘટાડો થશે. હવે ભારત સરકાર અને રાજ્ય સરકારની 300 સેવાઓ પીએસીએસ દ્વારા ઉપલબ્ધ થશે, જેમ કે જન્મ અને મૃત્યુનું રજિસ્ટ્રેશન, એર-ટ્રેન ટિકિટ બુકિંગ, બૅન્કિંગ વગેરે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આજે લિક્વિડ યુરિયાની નિકાસ લગભગ 5 દેશોમાં થઈ રહી છે. ઇફ્કો દ્વારા બનાવવામાં આવેલું આ પ્રવાહી યુરિયા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ખેડૂતોને પણ મદદ કરશે. ભારત એક સમયે યુરિયાની આયાત કરતું હતું, પરંતુ અનેક યુરિયા ફેક્ટરીઓને પ્રધાનમંત્રીએ પુનર્જીવિત કરી હતી અને આજે 30 એકરમાં બની રહેલી પ્રવાહી યુરિયાની આ નાનકડી ફેક્ટરી આયાતી 6 કરોડ યુરિયા ખાતરની થેલીઓનો વિકલ્પ બનાવશે, જે ભારતને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવશે. આનાથી ખેડૂતની જમીન પણ જળવાઈ રહેશે અને ઉત્પાદન પણ વધશે. પૂર્વ ભારતના ખેડૂતોને શુભેચ્છા પાઠવતા શ્રી શાહે જણાવ્યું હતું કે, આ લિક્વિડ નેનો યુરિયા ફેક્ટરી માત્ર ઝારખંડમાં જ નહીં, પણ બિહાર, ઓડિશા અને બંગાળના ખેડૂતોનાં ખેતરોમાં પણ ઉત્પાદન વધારવામાં ઉપયોગી સાબિત થશે.
