કેન્દ્રીય મંત્રી અમિત શાહે સહારા ગ્રૂપના 112 રોકાણકારોને નાણાં પરત કર્યાં
Live TV
-
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં સીઆરસીએસ-સહારા રિફંડ પોર્ટલ મારફતે સહારા ગ્રૂપ ઑફ કોઓપરેટિવ સોસાયટીઝના ખરા થાપણદારોને ભંડોળનાં હસ્તાંતરણનો શુભારંભ કરાવ્યો હતો. આ પોર્ટલ લૉન્ચ કરતી વખતે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યાના 45 દિવસમાં ખરા થાપણદારોને રકમ ચૂકવવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કૉર્ટ દ્વારા રચાયેલી કમિટી અને ભારત સરકારની તમામ એજન્સીઓએ એક મહિના કરતા પણ ઓછા સમયમાં નાણાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. 112 લાભાર્થીઓને દરેકને આજે તેમનાં બૅન્ક ખાતામાં રૂ. 10,000 મળ્યા છે, ટૂંક સમયમાં તમામ રોકાણકારોને તેમનાં નાણાં પાછા મળશે.
અમિત શાહે જણાવ્યું હતું કે, આશરે એક વર્ષ અગાઉ સહકારિતા મંત્રાલયે સહારા ગ્રૂપની ચાર સહકારી મંડળીઓમાં ફસાયેલાં રોકાણકારોનાં નાણાં પરત કરવાં શ્રેણીબદ્ધ બેઠકો શરૂ કરી હતી. તમામ હિતધારકોને સાથે લાવીને સહકારિતા મંત્રાલયે તમામ વિભાગો સાથે મળીને સુપ્રીમ કૉર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કૉર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા જણાવ્યું હતું કે સુપ્રીમ કૉર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવશે અને અસલી થાપણદારોને રિફંડની પ્રક્રિયા પારદર્શી રીતે કરવામાં આવશે.
સહારા ગ્રૂપના થાપણદારોએ તેમનાં નાણાં પરત કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનાં માર્ગદર્શન હેઠળ સહકારિતા મંત્રાલય દ્વારા કરવામાં આવેલા પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો હતો. સહારા ગ્રૂપની ચાર સહકારી મંડળીઓમાં છેલ્લાં લગભગ 15 વર્ષથી અટવાયેલા કરોડો રૂપિયા પરત કરવા માટે દેશના કરોડો રોકાણકારોને મદદ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
