PM મોદી 6 ઓગસ્ટે 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કરશે
Live TV
-
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 508 રેલ્વે સ્ટેશનોને કાયાકલ્પ કરવામાં આવનાર છે. PM મોદી 6 ઓગસ્ટના રોજ દેશભરના 508 રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કરશે. આ સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે. કાર્યક્રમ અનુસાર અમૃત ભારત સ્ટેશન યોજના સમગ્ર દેશમાં 1309 સ્ટેશનોના પુનર્વિકાસ માટે શરૂ કરવામાં આવી હતી.
પીએમ મોદી 6 ઓગસ્ટે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 508 સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કરશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રૂ. 24,470 કરોડથી વધુના ખર્ચે સ્ટેશનોનો પુનઃવિકાસ કરવામાં આવશે. આ 508 સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે, જેમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 55 સ્ટેશનો, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્ય પ્રદેશમાં 34, આસામમાં 32, ઓડિશામાં 25, પંજાબમાં 22, ગુજરાત અને તેલંગાણામાં 21 સ્ટેશનોનો સમાવેશ થાય છે. ઝારખંડ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18, હરિયાણામાં 15 અને કર્ણાટકમાં 13, ચંદીગઢમાં 8, કેરળમાં 5, દિલ્હી, ત્રિપુરા, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડમાં 3-3 જ્યારે હિમાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ અને પુડુચેરીના 1-1 સ્ટેશનનો સમાવેશ થાય છે.
યોજના હેઠળ, આ સ્ટેશનોને શહેરના 'સિટી સેન્ટર્સ' તરીકે વિકસાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ યોજના રેલ્વે સ્ટેશનની આસપાસ શહેર વિકસાવવા માટે બનાવવામાં આવી છે. સ્ટેશનની ઇમારતોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને સ્થાપત્યથી પ્રેરિત હશે. આ સાથે આ રેલવે સ્ટેશનોને આધુનિક મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.
