કોંગ્રેસ આ વખતે 40 સીટોનો આંકડો પણ પાર નહિ કરી શકે : અમિત શાહ
Live TV
-
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે ચૂંટણી જાહેર સભામાં વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસ આ વખતે 40 સીટોને પણ પાર નથી કરી રહી. સપા 04 બેઠકો પણ જીતી શકશે નહીં. મોદીજીએ પાંચ તબક્કામાં 310નો આંકડો પાર કર્યો છે. ઈન્ડી એલાયન્સ સાફ થઈ ગયું છે.
ગૃહમંત્રી અમિત શાહ સિદ્ધાર્થનગર જિલ્લાના બીએસએ ગ્રાઉન્ડ ખાતે ડુમરિયાગંજ લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર જગદંબિકા પાલના સમર્થનમાં જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. તથાગત બુદ્ધને યાદ કરતાં શાહે કહ્યું હતું કે, ભારતે સમગ્ર વિશ્વને જીવન માર્ગ બતાવવાનું કામ કર્યું છે. બુદ્ધે ભારતીય સંસ્કૃતિ અને ભારતના વિચારને સમગ્ર વિશ્વમાં ફેલાવવાનું કામ કર્યું.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, આપણું બંધારણ ધર્મના આધારે આરક્ષણ આપતું નથી. તેથી, ગઈકાલે હાઈકોર્ટે 2010 થી 2024 વચ્ચે બંગાળ સરકાર દ્વારા મુસ્લિમ જાતિઓને આપવામાં આવેલ તમામ OBC અનામતને ફગાવી દીધી છે.
અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ કહે છે કે પાકિસ્તાનનું સન્માન કરો, તેમની પાસે એટમ બોમ્બ છે. અરે, રાહુલ ગાંધી, અમે ભાજપના લોકો એટમ બોમ્બથી ડરતા નથી. PoK ભારતનું છે અને અમે તેને લઈશું. પરમાણુ બોમ્બથી દેશના પ્રશ્નો ઉકેલાતા નથી. દેશના પ્રશ્નો નેતાના મજબૂત ઇરાદાથી ઉકેલાય છે, જે મોદીજીમાં છે. તેમણે કહ્યું હતું કે, યુપીએ શાસન દરમિયાન દેશમાં 12 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી અને ભ્રષ્ટાચાર થયો હતો. દેશની જનતા જાણવા માંગે છે કે જો તેમને બહુમતી મળે તો તેમનો વડાપ્રધાન કોણ બનશે.
વધુમાં અમિત શાહે કહ્યું હતું કે, મોદીજીએ આતંકવાદ અને નક્સલવાદને ખતમ કરીને દેશને સમૃદ્ધ બનાવવાનું કામ કર્યું છે. ભાજપ સરકારે કતલખાનાને બદલે ગૌશાળા બનાવવાનું કામ કર્યું છે. તેમણે જગદંબિકા પાલને ડુમરિયાગંજ લોકસભા બેઠક પરથી ચાર લાખથી વધુ મતોથી જીતાડવાની અપીલ કરી હતી.
