ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે કરી મુલાકાત
Live TV
-
દક્ષિણ ગુજરાતમાં ભાજપા સંગઠનને મજબુત બનાવવામાં સી આર પાટીલે પોતાનું અમુલ્ય યોગદાન આપેલ છે. સાથે- સાથે પોતાના લોકસભા ક્ષેત્ર અને દક્ષિણ ગુજરાતના પ્રત્યેક નાગરિકના હિતોની રક્ષા માટે તેઓએ સતત જાગૃત રહીને લોક કલ્યાણકારી અનેક પ્રવૃતિઓને વેગ આપ્યો છે - અમિતભાઈ શાહ
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજરોજ ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે ગુજરાત ભાજપાનાં નવનિયુકત પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલે દિલ્હી ખાતે તેઓની લીધેલી મુલાકાત દરમ્યાન અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ તરીકે નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી સી.આર.પાટીલની નિયુક્તિ કરવામાં આવી હતી. જેના અનુસંધાને તા. ૨૧ જુલાઇના રોજ ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે શ્રી સી.આર.પાટીલે માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી વી. સતિશજી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી, સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણિયા, ગુજરાત ભાજપના સાંસદશ્રીઓ તેમજ પ્રદેશના આગેવાનોની ઉપસ્થિતિમાં વિજય મુહૂર્તમાં પોતાનો પદભાર સંભાળ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં ભાજપા સંગઠનને મજબુત બનાવવામાં શ્રી પાટીલે પોતાનું અમુલ્ય યોગદાન આપેલ છે. સાથે- સાથે પોતાના લોકસભા ક્ષેત્ર અને દક્ષિણ ગુજરાતના પ્રત્યેક નાગરિકના હિતોની રક્ષા માટે તેઓએ સતત જાગૃત રહીને લોક કલ્યાણકારી અનેક પ્રવૃતિઓને વેગ આપ્યો છે . ત્રણ ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા શ્રી સી.આર.પાટીલ તેમના પરોપકારી અભિગમ અને પ્રજાજનોની મુશ્કેલીમાં પડખે ઉભા રહેવાના વલણને કારણે અપાર લોકચાહના ધરાવે છે.શ્રી શાહે ઉમેર્યું હતું કે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શરુ થયેલ “ સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ” ની મુહીમને શ્રી પાટીલ ગુજરાતમાં રાજ્યની ભાજપા સરકાર સાથે રહીને સફળતાપુર્વક આગળ ધપાવશે તેનો મને સંપૂર્ણ વિશ્વાસ છે.
શ્રી પાટીલે વિવિધ સંગઠનલક્ષી જવાબદારીઓનું સફળતાપુર્વક વહન કર્યું છે. તેઓના બહોળા રાજનૈતિક અનુભવનો લાભ ગુજરાત ભાજપા સંગઠનને મળશે અને સંગઠન વધુ મજબુત બનશે. સાથે - સાથે કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકાર દ્વારા કાર્યરત જન કલ્યાણકારી યોજનાઓના લાભ પ્રત્યેક છેવાડાના માનવી સુધી સંગઠનના માધ્યમથી પહોચશે અને પં. દીનદયાલ ઉપાધ્યાયજીના “અંત્યોદય” નો સિધ્ધાંત ચરીતાર્થ કરવામાં વધુ વેગ મળશે તેવો આશાવાદ શ્રી શાહે વ્યક્ત કર્યો હતો.
