ચૂંટણી પંચે રોડ શો, પદયાત્રા, વાહનરેલી અને સરઘસ પરનો પ્રતિબંધ આગામી 11 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો
Live TV
-
ચૂંટણી પંચે રોડ શો, પદયાત્રા, વાહનરેલી અને સરઘસ પરના પ્રતિબંધની મુદત આગામી 11 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરની કોવિડ સ્થિતીની સમીક્ષા કરી હતી. રાજ્યોના સચિવોએ જણાવ્યું, કે સંક્રમણ દર ઘટી રહ્યો છે અને હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા ઘટી છે.
ચૂંટણી પંચે આજથી તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને તમામ ચરણની ચૂંટણી માટે ખુલ્લા મેદાનમાં 1000 લોકો સાથે બેઠક કરવા મંજૂરી આપી છે. ચૂંટણી પંચે સુરક્ષા દળોના જવાનોને બાદ કરતાં 10ને સ્થાને હવે 20 લોકોને ઘેર ઘેર પહોંચીને પ્રચાર કરવા મંજૂરી આપી છે. રાજકીય પક્ષોને સભાખંડોમાં મહત્તમ 500 વ્યક્તિ સાથે બેઠક કરવા પણ મંજૂરી આપવામાં આવી છે.
ગઇકાલે અખિલેશ યાદવ અને એસ.પી.સિંહ બઘેલે કરહલ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં યોજાનારા મતદાન તેમજ પંજાબમાં એક જ તબક્કે યોજાનારા મતદાન માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રીયા પુરી થઇ જશે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પાંચમા અને મણિપુરમાં પ્રથમ બે ચરણોના મતદાન માટે ઉમેદવારી દાખલ કરવાની પ્રક્રીયાનો આજે આરંભ થશે.
