દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 એપ્રિલ સુધી ઇડી કસ્ટડી
Live TV
-
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ, દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને, 1 એપ્રિલ સુધી ઇડી કસ્ટડીમાં મોકલી દીધા છે. ઇડી એ કેજરીવાલની સાત દિવસની કસ્ટડીની માંગણી કરી હતી. સુનાવણી દરમિયાન, ઇડી તરફથી હાજર રહેલા એએસજી એસવી રાજુએ કહ્યું કે, કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા અને સીધા જવાબો આપી રહ્યા નથી. રાજુએ કહ્યું કે, અમારી પાસે એવા દસ્તાવેજો છે જે સાબિત કરે છે કે, આમ આદમી પાર્ટીએ લાંચ લીધી અને આ પૈસાનો હવાલા માર્ગે ગોવાની ચૂંટણીમાં ઉપયોગ કર્યો. રાજુએ કહ્યું કે, કેજરીવાલ જે પૈસા ભાજપને આપવાનો આરોપ લગાવી રહ્યા છે તેને દારૂ કૌભાંડ સાથે કોઈ લેવાદેવા નથી. આમાં કોઈ મિલીભગતનો કેસ નથી.
આજની હાજરી દરમિયાન કેજરીવાલે પોતે કોર્ટમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે, તેમની ધરપકડ એક રાજકીય ષડયંત્ર છે અને જનતા તેનો જવાબ આપશે. સુનાવણી દરમિયાન અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ અને તેમનો પુત્ર પણ, કોર્ટ રૂમમાં હાજર હતા. કેજરીવાલે કહ્યું કે, અસલી કૌભાંડ, ઇડીની તપાસ બાદ શરૂ થયું. કેજરીવાલે કહ્યું કે, આ કેસમાં શરદ રેડ્ડીએ ધરપકડ બાદ ભાજપને ચૂંટણી બોન્ડ તરીકે 55 કરોડ રૂપિયા આપ્યા હતા. આ પછી શરદ રેડ્ડીને જામીન મળી ગયા.
કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે, કોઈ કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા નથી. ઇડી એ તેને ગમે તેટલા દિવસો સુધી કસ્ટડીમાં રાખવો હોય તો રાખે. કેજરીવાલે કહ્યું કે, ઇડી અને સીબીઆઈ એ હજારો પાનાનો રિપોર્ટ દાખલ કર્યો છે. જો તમે બધા કાગળો વાંચશો, તો તમને આશ્ચર્ય થશે કે, શા માટે મારી ધરપકડ કરવામાં આવી. કેજરીવાલે કહ્યું કે, તેમનું નામ માત્ર ચાર જગ્યાએ જ દેખાયું છે. શું આ નિવેદન મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે પૂરતું છે?
કેજરીવાલ વતી વકીલ રમેશ ગુપ્તાએ બોલવાનું શરૂ કર્યું ત્યારે કોર્ટે કહ્યું કે, તમારા અસીલે પોતાની દલીલો રજૂ કરી છે. ત્યારે રમેશ ગુપ્તાએ કહ્યું કે હા, પણ મારે પણ દલીલ કરવી છે. મને દલીલ કરવાનો અધિકાર છે, મને આનાથી કેવી રીતે રોકી શકાય? ગુપ્તાએ પૂછ્યું કે, શું ભાજપને, આપવામાં આવેલા ચૂંટણી બોન્ડ આ કેસ સાથે સંબંધિત છે તે સાચું નથી. કોર્ટે આ અંગે તપાસ કરવી જોઈએ અને તપાસનો આદેશ આપવો જોઈએ. ત્યારે કોર્ટે કહ્યું કે ઇડી એ રિમાન્ડની માંગણી કરી છે, જે વિચારવાનું મારું કામ છે. ત્યારે રમેશ ગુપ્તાએ કહ્યું કે, અમે તપાસમાં સહકાર આપવા તૈયાર છીએ, પરંતુ અમે કસ્ટડીની માંગનો વિરોધ કરી રહ્યા છીએ.
આજે કેજરીવાલની ઇડી કસ્ટડી સમાપ્ત થઈ રહી હતી, ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 23 માર્ચે કોર્ટે આજ સુધી ઇડી કસ્ટડીમાં મોકલી દીધા હતા. 21 માર્ચે દિલ્હી હાઈકોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને ધરપકડથી રક્ષણ ન અપાયા બાદ 21 માર્ચે, મોડી સાંજે ઈડીએ અરવિંદ કેજરીવાલની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. 27 માર્ચે હાઈકોર્ટે, કેજરીવાલને કોઈ રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આજે હાઈકોર્ટે કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી, હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે.