પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશની મુલાકાત લેશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. તેઓ રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન, ભોપાલ ખાતે પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવશે. આ પાંચ વંદે ભારત ટ્રેનમાં ભોપાલથી જબલપુર, ખજુરાહોથી ઈન્દોર વાયા ભોપાલ વંદે ભારત એક્સપ્રેસ, મડગાંવથી મુંબઈ, ધારવાડથી બેંગલુરુ અને હટિયાથી પટણા વંદે ભારત એક્સપ્રેસ છે. આ ઉપરાંત ગોવા, બિહાર અને ઝારખંડને પ્રથમ વખત વંદે ભારત ટ્રેન જોડાણ મળશે. શાહડોલમાં એક જાહેર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનનો પ્રારંભ કરશે. તેઓ લાભાર્થીઓને સિકલ સેલ જિનેટિક સ્ટેટસ કાર્ડ પણ આપશે. આ મિશનનો ઉદ્દેશ્ય ખાસ કરીને આદિવાસી વસ્તીમાં સિકલ સેલ રોગ દ્વારા ઉદભવતા ગંભીર આરોગ્ય પડકારોનો સામનો કરવાનો છે.
2047 સુધીમાં જાહેર આરોગ્ય સમસ્યા તરીકે સિકલ સેલ એનીમિયા રોગને દૂર કરવાના સરકારના પ્રયાસોમાં આ મિશન એક નિર્ણાયક સીમાચિહ્નરૂપ હશે. પ્રધાનમંત્રી મોદી મધ્યપ્રદેશમાં લગભગ સાડા ત્રણ કરોડ ઉપરાંત આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના કાર્ડના વિતરણની શરૂઆત પણ કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ રાણી દુર્ગાવતી ગૌરવ યાત્રાનું સમાપન કરશે. રાણી દુર્ગાવતીની બહાદુરી અને બલિદાનને લોકપ્રિય બનાવવા માટે મધ્યપ્રદેશ સરકાર દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાણી દુર્ગાવતી, 16મી સદીના મધ્યમાં તેઓ ગોંદવાનાની રાણી હતાં. એક અનોખી પહેલમાં, પ્રધાનમંત્રી મોદી શાહડોલના પાકરિયા ગામની મુલાકાત લેશે અને આદિવાસી સમુદાયના આગેવાનો, સ્વ-સહાય જૂથો, PESA સમિતિના નેતાઓ અને ગ્રામીણ ફૂટબોલ ક્લબના કેપ્ટન સાથે વાર્તાલાપ કરશે. તેઓ આદિવાસી અને લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે અને ગામમાં રાત્રિભોજન પણ કરશે.
