ભારતના જાણીતા આર્કિટેક અને ઈજનેર બાલકૃષ્ણ દોશીનું 95 વર્ષની વયે થયું નિધન
Live TV
-
ભારતના જાણીતા આર્કિટેક અને ઈજનેર બાલકૃષ્ણ દોશીનું 95 વર્ષની વયે સારવાર દરમિયાન નિધન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. ટ્વીટ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું કે, "ડૉ. બી.વી. દોશી એક તેજસ્વી આર્કિટેક્ટ અને એક નોંધપાત્ર સંસ્થાના નિર્માતા હતા. આવનારી પેઢીઓ સમગ્ર ભારતમાં તેમના સમૃદ્ધ કાર્યની પ્રશંસા કરીને તેમની મહાનતાની ઝલક મેળવશે. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ." રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું.
ડૉ. બી.વી. દોશી પોતાના અંતિમ શ્વાસ સુધી પોતાના કામને વળગી રહ્યા હતા. તેમણે આઈ.આઈ.એમ બેંગ્લોર, આઈઆઈએમ ઉદેપુર, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી ન્યુ દિલ્હી ઉપરાંત અમદાવાદની ગુફા સહિતના અનેક નામી સ્થાપત્યોની ડિઝાઈન તૈયાર કરી હતી. તેમને પદ્મભૂષણ, પદ્મશ્રી, રોયલ ઇન્સ્ટિટયૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક રોયલ ગોલ્ડ મેડલ, પ્રીઝર્કર આર્કિટેક્ચર પ્રાઇઝ જેવા અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ પ્રથમ એવા ભારતીય સ્થપતિ છે કે જેમને આર્કિટેક્ચરનું સૌથી ઊંચું સન્માન પ્રીઝકર પ્રાઇસ મળ્યું છે.
