નરેશ-મહેશ કનોડિયાને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાશે
Live TV
-
ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટાર બેલડી નરેશ કનોડિયા અને તેમના ભાઈ મહેશ કનોડિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે અનોખી રીતે શ્રદ્ધાંજિલ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 'મહેશ-નરેશ સ્મૃતિના સથવારે' સંગીતના કાર્યક્રમનું આયોજન કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અનોખા શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જિતુ વાઘાણી અને સામાજિક ન્યાયમંત્રી પ્રદીપ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જાણિતા ગાયક પાર્થિવ ગેોહિલ, જિગ્નેશ કવિરાજ સહિતના કલાકાર ઉપસ્થિત રહ્યા હતા. નરેશ કનોડિયાના પરિવારની ઉપસ્થિતિમાં ખાસ સંગીત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં જાહેરાત કરી કે 'નરેશ-મહેશ કનોડિયાને 9 નવેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે. બંને ભાઈઓનું ભારત સરકાર મરણોપરાંત સન્માન કરશે. નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયા દિલ્લીમાં જઈને આ અવોર્ડ સ્વીકારશે.
નરેશ કનોડિયાનો ગુજરાતી ફિલ્મોમાં અને તેમના મોટા ભાઈ મહેશ કનોડિયાએ સંગીત ક્ષૈત્રમાં સિંહફાળો આપ્યો છે. નરેશ કનોડિયાએ અંદાજે 40 વર્ષ કરતા વધુ સમય સુધી તેમને એકથી એક ચડિયાતી ફિલ્મોમાં કામ કર્યું છે. નરેશ કનોડિયા સાથે સ્નેહલત્તા, અરૂણ ઈરાની, રોમા માણેક સહિતની 72 અભિનેત્રીઓએ કામ કર્યું છે. નરેશ કનોડિયાએ કારકિર્દીની શરૂઆત 'વેલીને આવ્યા ફૂલ'થી કરી હતી. નરેશ કનોડિયાની ફિલ્મોની વાત કરીએ તો તેમણે ઢોલા મારૂ, મેરુમાલણ, વણઝારી વાવ, જુગલ જોડી, કંકુની કિંમત જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમણે મોટાભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને 150થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. 80 અને 90ના દાયકામાં નરેશ કનોડિયાના અભિનયનો દબદબો રહ્યો છે. નરેશ કનોડિયા ગુજરાત સરકારમાં ધારાસભ્ય પણ રહ્યા હતા.
ગુજરાત સરકારે મહેશ કનોડિયાને અનેક એવોર્ડથી સન્માનિત કર્યા છે. વર્ષ 1970માં ફિલ્મ 'જીગર અને અમી' માટે શ્રેષ્ઠ સંગીત આપવા બદલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. વર્ષ 1974માં તાનારીરી માટે શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. વર્ષ 1980-81માં ફિલ્મ 'જોગ-સંજોગ' માટે નિર્માતા તરીકે એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફિલ્મ 'અખંડ ચૂડલો' માં પાર્શ્વગાયક માટેનો એવોર્ડ તેમણે એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 1991-92માં ફિલ્મ 'લાજુ લાખણ'ના શ્રેષ્ઠ સંગીત માટેનો અવોર્ડ તેમને એનાયત કરવામાં આવ્યો છે.
નરેશ કનોડિયાને ફિલ્મ વર્ષ 1974-75માં રિલીઝ થયેલી ફિલ્મ 'તાનારીરી'માં ભાઈ મહેશ કનોડિયા સાથે સંગીત આપનાર નરેશ કનોડિયાને પણ સંગીતકાર તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ફિલ્મ 'જોગ સંજોગ' માટે શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તો આ જ ફિલ્મ માટે સંગીતકાર તરીકે પણ અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2012માં તેમને દાદાસાહેબ ફાળકે એકેડમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
