અમદાવાદના સર્વાંગી વિકાસ માટે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
Live TV
-
2026 અમદાવાદ શહેરના વિકાસને નવી ગતિ આપવા અને નાગરિક સુવિધાઓને વધુ અસરકારક બનાવવાના હેતુથી આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
શહેરના પ્રભારી અને ઉર્જા મંત્રી ઋષિકેશપટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર વચ્ચેના સંકલન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરના ઉત્તર, દક્ષિણ, મધ્ય અને પૂર્વ ઝોનમાં ચાલી રહેલા વિકાસકાર્યોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની નાની-મોટી સમસ્યાઓનો સમયસર ઉકેલ લાવવો અને નીતિગત મુદ્દાઓનું ઝડપી અમલીકરણ કરવાનો છે.
માર્ગ, પાણી પુરવઠો, ડ્રેનેજ, સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓ સંબંધિત પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરાઈ.શહેરમાં વધતા વાયુ પ્રદૂષણ (એર પોલ્યુશન), ટ્રાફિક વ્યવસ્થા અને ગેરકાયદે દબાણો દૂર કરવા જેવા ગંભીર મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ.વિકાસકાર્યોને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે અધિકારીઓને દિશાનિર્દેશ આપવામાં આવ્યા.ફરિયાદોના ઝડપી નિવારણ, પારદર્શિતા અને ગુણવત્તાને પ્રાથમિકતા આપવા સર્વસંમતિ સધાઈ.
મંત્રીએ કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટરઓની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું કે, જનપ્રતિનિધિઓએ રજૂ કરેલા સ્થાનિક પ્રશ્નોના નિકાલ માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને તેમની ટીમ પૂરતો સહયોગ આપી રહી છે. આવા સંકલિત પ્રયાસોથી અમદાવાદ વધુ સુવ્યવસ્થિત અને વિકાસશીલ શહેર બનશે.આ બેઠકમાં રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર પ્રતિભાબેન જૈન, સાંસદ હસમુખ પટેલ અને દિનેશ મકવાણા, ધારાસભ્યો, ડેપ્યુટી મેયર જતિન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ તેમજ વિવિધ સમિતિના ચેરમેનો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
