અમદાવાદમાં 21મો EXCEED Environment, HR and CSR Award 2026 યોજાયો
Live TV
-
પર્યાવરણ સંરક્ષણ, માનવ સંસાધન વિકાસ અને કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયિત્વ (CSR) ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા ‘એક કામ દેશ કે નામ’ સંસ્થા દ્વારા અમદાવાદના મોટેરા ખાતે ‘21મો EXCEED Environment, HR and CSR Award & Conference 2026’ યોજાયો હતો. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે જીવનમાં બનેલી નાની ઘટના પણ વ્યક્તિને પ્રેરણા આપી માનવ કલ્યાણ અને સમાજસેવાનું માધ્યમ બની શકે છે. તેમણે ભારતીય સંસ્કૃતિના ‘વસુધૈવ કુટુમ્બકમ્’ના વિચારને યાદ કરાવી સમાજના વંચિત વર્ગના આંસુ લૂછવા અને રાષ્ટ્રસેવામાં યોગદાન આપવાનું આહ્વાન કર્યું હતું.તેમણે કહ્યું કે માણસે માત્ર પોતાના વિકાસ પૂરતો સીમિત ન રહેતા માનવ કલ્યાણ અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવું જોઈએ. ધનની ત્રણ ગતિ—દાન, ભોગ અને નાશ—માં જરૂરિયાતમંદને કરવામાં આવતું દાન શ્રેષ્ઠ છે.
પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલએ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિશય ઉપયોગથી જમીન અને પાણી પર થતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી.કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ બાળકો અને ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ, વૃક્ષારોપણ, જળસંચય તથા પર્યાવરણ સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં સેવાકીય કામગીરી કરનાર સમાજશ્રેષ્ઠીઓ અને સંસ્થાઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી. પર્યાવરણ સંરક્ષણ, ગ્રીન ટેકનોલોજી, શ્રેષ્ઠ HR નીતિઓ અને ઉત્કૃષ્ટ CSR પ્રોજેક્ટ્સ માટે વિવિધ સંસ્થાઓ અને કોર્પોરેટ ગૃહોને રાજ્યપાલશ્રીના હસ્તે **‘EXCEED Award 2026’**થી સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં ‘એક કામ દેશ કે નામ’ના અધ્યક્ષ રાજીવ બબ્બર, મહાસચિવ ડૉ. પ્રણવી સહિત ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ અને વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
