મકાન ધરાશાયી થતાં બોટાદ ફાયર વિભાગની પ્રશંસનીય કામગીરી
Live TV
-
શહેરના અક્ષરવાડી-2, ભાંભણ રોડ વિસ્તારમાં વિજય મનજી ગઢાદારાનું મકાન ધરાશાયી થતાં બોટાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રાહત-બચાવ સાથે સાલ્વેજ કામગીરી હાથ ધરી હતી.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને મકાનની વીજ લાઈન બંધ કરાવવામાં આવી હતી અને ગેસ કનેક્શન પણ સાવધાનીપૂર્વક અલગ કરી સુરક્ષિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફાયર ટીમે કાળજીપૂર્વક કાટમાળ હટાવી ઘરવખરી અને કિંમતી સામાન બહાર કાઢ્યો હતો. જેમાં સોનાની કિંમતી વસ્તુઓ સહિતનો સામાન સલામત રીતે પરિવારને સોંપવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્ર, પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ અને નગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને પરિવારને જરૂરી સહાય પૂરી પાડી હતી.ફાયર વિભાગના અધિકારી કુલદીપસિંહ એમ. ડોડિયાએ પરિવારને હિંમત આપતાં જણાવ્યું હતું કે, “મુશ્કેલીની આ ઘડીમાં વહીવટી તંત્ર આપની સાથે છે અને શક્ય તમામ મદદ કરવામાં આવશે.”ફાયર વિભાગની ઝડપી અને સંવેદનશીલ કામગીરી બદલ અસરગ્રસ્ત પરિવાર તથા સ્થાનિક રહીશોએ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કામગીરીમાં હરજીવનભાઈ, ચિરાગભાઈ, મહેન્દ્રભાઈ, સહદેવભાઈ, રાજુભાઈ અને નિલેશભાઈ સહિતની ફાયર ટીમ જોડાઈ હતી.
