અમદાવાદ રથયાત્રાઃ સરસપુરમાં મામેરા બાદ ભગવાનના રથને વિદાય અપાઈ
Live TV
-
ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની સાથે આજે નગરચર્ચાએ નિકળ્યાં છે, ત્યારે વ્હાલાના વધામણા કરવા માટે વહેલી સવારથી જગન્નાથ મંદિર સહિત રથયાત્રાના માર્ગમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો.
- હાલમાં સાંજના 4.10 વાગ્યે ભગવાનનો રથ દરિયાપુર પહોંચ્યો છે.
- થોડી જ વારમાં ભગવાનનો રથ કાલુપુર સર્કલે પહોંચશે.અષાઢી બીજને ગુરૂવારે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનો જમાલપુર નિજ મંદિરેથી સવારે સાત વાગ્યે અમીછાંટણા સાથે પ્રારંભ થયો છે. આ પહેલાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. મંગળા આરતી બાદ નગરચર્યાએ નિકળેલા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરાયા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ ગુજરાત આવેલા અમિત શાહે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીનો લ્હાવો ઉપસ્થિત રહ્યા હતા..આરતી સમયે સમગ્ર મંદિર પરિસર જય રણછોડ, માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
ત્યારબાદ ભગવાન જગન્નાથને 'નંદીઘોષ' નામના રથમાં, બહેન સુભદ્રાને 'કલ્પધ્વજ' અને ભાઈ બલભદ્રને 'તાલધ્વજ' નામના રથમાં બિરાજમાન કરાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે પહિન્દ વિધિ એટલે કે રથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કરી મુખ્યમંત્રીએ રથ ખેંચાવીને રથયાત્રાની શરૂઆત કરી હતી.
ત્યારબાદ ભગવાનના જગન્નાથજીના રથનું મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મેયર બિજલ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તો રથયાત્રામાં ભારતીય સાંસ્કૃતિક ઝાંખીઓ દર્શાવતા 101 શણગારેલા ટ્રકો, ગજરાજો અને 30 અખાડાઓના નવતર કરતબોએ ભક્તોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું..જ્યારે 18 જેટલી ભજન મંડળીઓએ પોતાના સુરીલા અવાજથી ભજન-કિર્તન ગાઈ વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.
જય રણછોડ, માખણચોર’ના નારા સાથે ત્રણેય રથ તેમના મોસાળ એટલે કે સરસપુર પહોંચ્યા હતા. ત્રણેય ભાઈ-બહેન મામાના ઘરે પહોંચતા સરસપુરવાસીઓ ભગવાનનું ભાવભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મોસાળમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનું મામેરૂં કરવામાં આવ્યું હતું..ભગવાનની સાથે ગજરાજ અને 101 ટ્રકો પણ સરસપુર પહોંચી હતી..ગજરાજ સરસપુર પહોંચતા જ મોસાળમાં અમીછાંટણાં થયા હતા.
રથ સરસપુર પહોંચતા સરસપુરવાસીઓએ ભગવાનનું રંગેચંગે સ્વાગત કર્યું હતું અને સરસપુરની 18 જેટલી પોળોમાં ભાવિક ભક્તો માટે જમણવાર યોજાયો હતો..જેમાં મોહનથાળથી લઈ ફૂલવડી, બુંદી, પુરી અને બટાકાના શાકના ભોજનની વ્યવસ્થા કરાઈ હતી..સૌ ભક્તોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો.
મહત્વનું છે કે, ભગવાન જગદીશના મોસાળમાં વર્ષોથી ચાલી આવતા આ મહાપ્રસાદ અભિયાનમાં ક્યારેય ભોજન ખૂટ્યું નથી...સરસપુરમાં મામેરા બાદ ભગવાનને ભક્તો દ્વારા વિદાય આપવામાં આવી હતી. ઝરમર વરસાદની વચ્ચે ગજરાજ નિજ મંદિર તરફ રવાના થયા હતા. ચાલુ વરસાદમાં પણ રથયાત્રાને લઈ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
