આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની ઉજવણી નડાબેટ ખાતે થશે
Live TV
-
વિશ્વભરમાં દર વર્ષે 21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ “ સ્વયં અને સમાજ માટે યોગ “ની થીમ પર ઉજવણી કરાશે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્ય ભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો કાર્યક્રમ સૌપ્રથમ વખત ભારત-પાકિસ્તાન સરહદે આવેલ નડાબેટમાં યોગ અને રાષ્ટ્રભક્તિના સંયોજનથી રાજ્ય સરકારના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને BSFના સહ આયોજનમાં આ વર્ષનો મુખ્ય કાર્યક્રમ યોજાશે.
રાજ્યભરમાં 8 મહાનગરપાલિકાઓ, 32 જિલ્લાઓ તથા 251 તાલુકા, 20 નગરપાલિકા એમ કુલ 312 મુખ્ય સ્થળોએ યોગ દિવસની ઉજવણી માટે સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતથી મહાનગરપાલિકા સુધી શાળા, કોલેજ, આઈ.ટી.આઈ, જેલ, આરોગ્ય અને પોલીસ વિભાગો સહીતના તમામ વિભાગો યોગમય બનશે.
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગોટલીયા ગાર્ડન, સિંધુભવન, અમદાવાદ ખાતે, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા દિલ્હી ખાતે, કેન્દ્રીય જલશકિત મંત્રી સી.આર.પાટીલ સુરત ખાતે અને ગ્રાહક બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુ બાંભણીયા દિલ્હી ખાતે યોજાનાર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી યોગસાધનામાં જોડાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 06:30 કલાકે તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 06:40 કલાકે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રેરક સંબોધન કરશે અને તેનું સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.
આખું વિશ્વ વિશાળ જન ભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું છે ત્યારે ગુજરાતના નાગરિકો 'યોગમય ગુજરાત' અભિયાનમાં સહભાગી થશે. રાજ્યભરમાં યોજાનાર આ કાર્યક્રમોમાં રાજ્યમંત્રી મંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો સહિત પદાધિકારીઓ અને અનેક મહાનુભાવો પણ સહભાગી થશે.
