આજથી રાજ્યમાં ધોરણ 10-12 અને કોલેજમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ
Live TV
-
કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના તથા પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ થશે. રાજ્યના મંત્રીઓ તેમજ ધારાસભ્યોએ શાળાઓમાં હાજર રહીને વિદ્યાર્થીઓને આવકારો આપી પ્રોત્સાહિત કર્યા હતા.
દેશ અને રાજ્યમાં કોરોનાની તીવ્રતા સતત ઘટી રહી છે, ત્યારે આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ પણ નજીક આવી રહી છે. વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ઉપરાંત, કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારના આદેશ અનુસાર, આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ તથા કોલેજમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે.
આજથી શરુ થયેલ શાળાઓમાં વિદ્યાર્થીઓને આવકારવા રાજ્ય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો નક્કી કરેલ વિસ્તારની શાળાએ પહોંચ્યા હતા. શાળાના પ્રારંભ સમયે ઉપસ્થિત રહીને એક લાંબા ગાળા બાદ શાળાએ આવેલા વિદ્યાર્થીઓને આવકારો આપીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્ય સરકારના શાળા ખોલવાના નિર્ણયને હર્ષ ભેર વધાવી લેવા બદલ શિક્ષણ કાર્ય સાથે જોડાયેલ તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના લાંબા વેકેશન બાદ જ્યારે શિક્ષણકાર્ય શરૂ થઈ રહ્યું છે, ત્યારે જેટલો પણ સમય મળે તેનો મહત્તમ ઉપયોગ કરીને શિક્ષણકાર્ય અને સાથો સાથ બાળકનું પણ હિત જાળવવાનો આપણે સંકલ્પ કરીએ..
