આજે અમદાવાદના સરસપુરથી ભગવાનનું મામેરું કરવામાં આવ્યું
Live TV
-
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે થોડા જ દિવસો બાકી છે. કોરોનાની ગાઇડલાઇન્સ મુજબ, આ વર્ષે રથયાત્રા મર્યાદિત લોકોની હાજરીમાં યોજાય એવી શક્યતા વચ્ચે ભગવાનના મોસાળ પક્ષ તરફથી મામેરાના દર્શન ઓનલાઇન કરવામાં આવી રહ્યા છે. આજે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં ભગવાનના મામેરાનાં દર્શન ફેસબુક પર Rathyatra In Saraspur પેજ તથા ઈન્સ્ટાગ્રામ પર rathyatra_in_saraspur પેજ કર્યા હતા. આ દરમિયાન મંદિરમાં ભક્તોને ચેવડા-પેંડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ઓનલાઈન દર્શન રાખવા છતાં મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરમાં 'નાથ'ના દર્શન માટે ઉમટી હતી. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી માટે આ વર્ષે મામેરામાં મહારાષ્ટ્ર પહેરવેશના પાઘડી સહિતના વાઘા બનાવવામાં આવ્યા છે. રાતે 8 વાગ્યા સુધી મામેરાનાં ભક્તો દર્શન કરી શકશે. મંદિરમાં કોરોનાની ગાઇડલાઇન્સ પ્રમાણે, લોકોને દર્શન કરવા દેવામાં આવશે. સરસપુર મંદિરના ટ્રસ્ટી ઉમંગ પટેલે કહ્યું કે, કોરોનાને કારણે દરેક ભક્તને વિનંતી છે કે ઓનલાઈન ભગવાનના મામેરાનાં દર્શન કરે.
મૂળ ભગવાનના મોસાળ સરસપુરના રહેવાસી અને હાલ સેટેલાઈટમાં રહેતા મહેશભાઈ ઠાકોર તરફથી આ વર્ષે રથયાત્રામાં ભગવાનનું મામેરું કરવામાં આવ્યું. મહેશભાઈના પિતા ભગવાનદાસભાઈ 50 વર્ષથી મામેરું કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. તેઓ રણછોડજી મંદિરના ટ્રસ્ટ સાથે સતત સંપર્કમાં હતા અને અંતે આ વર્ષે તેમને આ સૌભાગ્ય મળ્યું. આ વર્ષે પણ કોરોનાની સ્થિતિ છે ત્યારે મામેરું પરંપરાગત રીતે જ કરવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરાયેલી તમામ ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે. મામેરું કરનારા પરિવારને 35 પાસ પણ બનાવી આપવામાં આવશે. પાસ આપવામાં આવ્યા છે તે વ્યક્તિઓ જ મામેરા સમયે હાજર રહી શકશે.
