આદિવાસીઓનું પરંપરાગત ઘેરૈયા નૃત્ય ધીરેધીરે લુપ્ત થવાના આરે
Live TV
-
આરાધના પર્વથી દેવદિવાળી સુધીનો સમય એટલે જ આદિવાસી સમાજ માટે ઘેર બાંધી માતાજીને રિઝવવાનો શ્રેષ્ઠ અવસર
દક્ષિણ ગુજરાત સહિત આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓનું પરંપરાગત 'ઘેર નૃત્ય' એટલે ઘેરૈયા નૃત્ય. પરંતુ ઘેરૈયા ગરબા હવે ધીરેધીરે લુપ્ત થતું ગયું છે અને સાથે આદિવાસી સમાજોમાં પણ મર્યાદિત થઈ ગયુ છે. પરંતુ આ ઘેરૈયાની પરંપરાને જીવંત રાખવા આદિવાસી લોકો પોતાની ઘેરૈયાની મંડળી બનાવીને ગામડાઓ અને શહેરી વિસ્તારોની સોસાયટીઓમાં ફરીને ઘેરૈયા ગરબા કરે છે. સાથે જ લોકો દ્વારા તેમને ખાસ નવરાત્રી દરમિયાન બોલાવવામાં આવે છે.
ઘેરૈયામાં માત્ર પુરુષોની જ ઘેરૈયા મંડળી ઘરના આંગણે આવીને ગરબા રમેં છે. જેનાથી આખું વર્ષ સુખમય નિવડે તેવી માન્યતા છે. તેઓ માટે આરાધના પર્વથી દેવદિવાળી સુધીનો સમય એટલે જ આદિવાસી સમાજ માટે ઘેર બાંધી માતાજીને રિઝવવાનો શ્રેષ્ઠ અવસર છે.
આસો મહિનામાં લોકો ધીમે ધીમે ખેતીમાં પાકની કાપણીના કામમાંથી પરવારે છે. એટલે, પાક ઊતરવાનો આનંદ પણ આદિવાસી ખેડૂતોમાં બેવડાય છે. આ આનંદ અને આરાધનાના સંયોગને માટે આદિવાસી સમાજ દેવ-દેવીઓને ઘેરનૃત્યના માધ્યમથી વ્યક્ત કરે છે.
ઘેરૈયાઓની ટુકડીમાં એકપણ મહિલા નથી હોતી. ઘેરૈયાઓનું નૃત્ય માત્ર શક્તિની આરાધના જ નહીં પરંતુ કોઈના મૃત્યુના સમયે, બાળક જન્મ્યું હોય તો એને ઘોડીએ ચડાવીને ઘેર ગવડાવવામાં આવે છે. ઘેરૈયામાં પુરુષો જ સ્ત્રીનો વેશ ધારણ કરતા હોય છે. ઘેરૈયાનો પોશાક અર્ધનારેશ્વર જેવો હોય છે.
