આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી 100 દિવસની સઘન ટી.બી નિર્મૂલન ઝુંબેશનો શુભારંભ કરાવ્યો
Live TV
-
આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી નડ્ડા દ્વારા પંચકુલા હરિયાણાથી રાષ્ટ્રવ્યાપી 100 દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતમાં ટી.બી નિર્મૂલન ઝુંબેશનો GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતેથી રાજ્યના 16 જિલ્લાઓ અને ૪ મહાનગરપાલિકામા શુભારંભ કરાવ્યો હતો.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ટી.બી રોગનું નિર્મુલન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટીબદ્ધ છે. ટી.બીના નવા કેસ ઝડપથી શોધી અને તેની સઘન સારવાર કરીને ટી.બીથી થતા મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો કરી શકીએ છીએ. સમગ્ર દેશમાં ટી.બી નાબૂદી ત્યારે જ શક્ય બનશે જ્યારે સરકાર અને સમાજ બંને એક બીજાની સહભગીતાથી ભેગા મળીને કામ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટી.બી રોગને ભારત માંથી નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો છે. તેમણેવર્ષ-2025માં ભારત દેશ માંથી ટી.બીને નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો છે, તેમજ ગુજરાતમાં કોઈ પણ ટી.બીનો દર્દી વર્ષ-૨૦૨૫માં રહી ન જાય તેવો સંકલ્પ કરવા આરોગ્ય વિભાગના અધિકારી - કર્મચારીઓને અનુરોધ કર્યો હતો.
વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત 100 દિવસ સઘન ઝુંબેશમાં ભારત સરકાર દ્વારા દેશના કુલ 347 જિલ્લાઓ પૈકી રાજ્યના કુલ 16 જિલ્લાઓ અને 4 મહાનગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ દરમિયાન સમાજમાં રહેલા ટીબીના નવા કેસ ઝડપથી શોધી કાઢવા, ત્વરિત અને સઘન સારવાર, તેમજ જનભાગીદારી દ્વારા પોષણયુક્ત આહારની કીટ્સ પૂરી પાડવા જેવી વિવિધ કામગીરીમાં આરોગ્ય કર્મીઓ ખૂબ સરાહનીય કામગીરી કરી રહ્યા છે.
વધુમાં મંત્રીએ ગુજરાતના નાગરિકોને અનુરોધ કર્યો હતો કે, ટી.બી રોગ જે તે વિસ્તારમાં ફેલાયેલો હોય ત્યાં આસ-પાસ રહેતા નાગરિકો, કુટુંબીજનોને જે વ્યક્તિ ને થયો હોય તે વ્યક્તિની જાણકારી આપે જેથી ભવિષ્યમાં તે રોગનો સંક્રમણ અન્ય વ્યક્તિમાં પ્રસરે નહિ, તેવી જન-જાગૃતિ ફેલાવવાની કામગીરી સરકારના આરોગ્ય વિભાગની સાથે સાથે સમાજની પણ છે. ટીબી ત્યારે જ આ દેશ માંથી નાબૂદ થશે જ્યારે સમાજ અને સરકાર બંને પરસ્પર કામગીરી કરશે ત્યારે જ આપણે ટી.બીની આ લડાઇ સામે જીત પ્રાપ્ત કરી શકીશું.
વધુમાં મંત્રીએ મોટી કંપનીઓના દાતાઓને વિનંતી કરી હતી કે, તેઓ મોટા પ્રમાણમાં આગળ આવીને પોતાની CSR પ્રવૃત્તિમાં ટી.બીના દર્દીઓને દત્તક લઈને તેને આ લડાઇ સામે રક્ષણ આપવા મદદ કરે જેથી આવનારા સમયમાં ગુજરાતમાં કોઈ પણ ક્ષય રોગથી પીડાતો દર્દી ન રહે.
આ પ્રસંગે ટી.બી.ના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત નિક્ષય મિત્ર ન્યારા એનર્જી અને ઇન્ડિયન ઓઇલ કોર્પરેશન લિમિટેડ કંપનીને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.
આ તકે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યમાં 16 જિલ્લા અને 4 કોર્પોરેશન વિસ્તારમાં ફરતી નિક્ષય વાહનને ફ્લેગઓફ કર્યું હતુ. રાજ્યમાં ફરતી નિક્ષય વાહન ક્ષયના દર્દીઓને શોધી સ્થળપર જ નિદાન તેમજ નાગરીકોને ક્ષય રોગને લગતી માહિતી આપી જન જાગૃતિ ફેલાવશે.
