આવતીકાલે નાણામંત્રી કનુભાઈ પટેલ વિધાનસભામાં રજૂ કરશે બજેટ
Live TV
-
15મી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે પ્રારંભ થયો છે. આવતીકાલે નાણામંત્રી કનુભાઈ પટેલ દ્વારા વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ ઉપર ચર્ચા તેમજ મતદાન માટે 16 બેઠકમાં ચર્ચા હાથ ધરાશે.
વિધાનસભા સત્ર દરમિયાન કામકાજના કુલ 25 દિવસ રહેશે. સત્ર દરમિયાન સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે 5 બેઠકો રાખવામાં આવી છે. જે અંતર્ગત સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા હાથ ધરાશે. વિધાનસભા સત્રમાં પ્રથમ 1 કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે. 25 દિવસ સુધી ચાલનારા આ બજેટ સત્રનું સમાપન 29 માર્ચે થશે.
આજે વિધાન સભા સત્રના પ્રથમ દિવસના કામકાજની શરૂઆત રાજ્યપાલના સંબોધનથી કરવામાં આવી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કર્યા બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થયો હતો. વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધન માટેના આભાર પ્રસ્તાવ બાબતે વિપક્ષના અર્જુન મોઢવાડિયાએ પોઇન્ટ ઓફ ઓર્ડર રજૂ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી રમણ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય નારણ પટેલ, દાઉદ મિયાભાઇ પટેલ, મહિપતસિંહ જાડેજા અને હરેશકુમાર ભટ્ટના અવસાન અંગેના શોક દર્શક ઉલ્લેખમાં સ્વર્ગસ્થના આત્માની શાંતિ માટે પ્રાર્થના અને તેમના કુટુંબીજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી હતી. વિપક્ષના અમિત ચાવડાએ પણ ગૃહમાં તમામ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલી અર્પી હતી. વિપક્ષના નેતા અર્જુન મોઢવાડિયા, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ મંત્રી જીતુભાઇ વાઘાણી અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સ્વર્ગસ્થના આત્માને શાંતિ અને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તમામ સભ્યોમાં અનુમોદન બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ શ્રદ્ધાંજલી અર્પી હતી. ત્યાર બાદ ગૃહના તમામ સભ્યોએ સ્વર્ગસ્થના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળ્યું હતું.