ઉનાઈથી વડનગર સુધીની સેવા સંકલ્પ બાઈક યાત્રા તાપી પહોંચી, આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણથી જનકલ્યાણનો સંદેશ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રસેવા અને સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં આગામી 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન સેવા સંકલ્પ અભિયાન યોજાવા જઈ રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે નવસારીના ઐતિહાસિક ઉનાઈ માતાજી મંદિર ખાતેથી પ્રસ્થાન કરાયેલી વિશેષ બાઈક યાત્રા તાપી જિલ્લામાં પ્રવેશતાં જ તેનું ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ બાઈક યાત્રાને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે લીલી ઝંડી દર્શાવી રવાના કરી હતી. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ખાતે યાત્રા પહોંચતાં ધારાસભ્ય મોહનભાઈ કોંકણી અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા મંત્રીઓનું કંકુતિલક કરીને સ્વાગત કરાયું હતું.
તાપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમોની હારમાળા:
આરોગ્ય અને પંચાયત મુલાકાત: યાત્રા દરમિયાન કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ડોલવણની મુલાકાત લીધી હતી. ત્યારબાદ વ્યારાના જેસીંગપુરા ખાતે ગ્રામ પંચાયતની મુલાકાત લઈ મહાનુભાવોએ કલશમાં જળ અર્પણ કરી વૃક્ષારોપણ કર્યું હતું.
આદિવાસી સંસ્કૃતિનો સંગમ: વ્યારાના ઉનાઈ નાકા ખાતે સ્થાનિકો અને કાર્યકરો દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝલક સાથે યાત્રાનું સ્વાગત કરાયું હતું. અહીંથી રમત-ગમત અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત અને આદિવાસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપતભાઈ વસાવા પણ જોડાયા હતા.
પ્રાકૃતિક ખેતી અને મહિલા સશક્તિકરણ: સોનગઢના ધમોડી ખાતે મહાનુભાવોએ નાગરિકોને સંબોધિત કર્યા હતા તેમજ ICDS, પ્રાકૃતિક કૃષિ અને મિશન મંગલમની બહેનોના સ્ટોલ્સની મુલાકાત લઈ આત્મનિર્ભર બહેનોના પ્રયાસોને બિરદાવ્યા હતા.
શાળાઓમાં વૃક્ષારોપણ: સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલ અને વ્યારાના ઊંચામાળા સ્થિત જ્ઞાનદીપ હાઈસ્કૂલ ખાતે કળશ પૂજન અને એક પેડ મા કે નામ ઝુંબેશ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય અને આગામી રૂટ:
તાપી જિલ્લામાં યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ ફ્રી મેડિકલ કેમ્પ, જનકલ્યાણકારી યોજનાઓની માહિતી આપતો વિકાસરથ અને પ્રધાનમંત્રીના ૨૫ વર્ષના સેવા કાર્યો દર્શાવતી વિશિષ્ટ શોર્ટ ફિલ્મોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.તાપી જિલ્લામાં પોતાનો અંતિમ પડાવ ઊંચામાળા ખાતે પૂર્ણ કર્યા બાદ આ બાઈક યાત્રા નિર્ધારિત કાર્યક્રમ મુજબ સુરત, નર્મદા, વડોદરા અને અમદાવાદ થઈને આગામી 16મી સપ્ટેમ્બરના રોજ વડનગર ખાતે સમાપન પામશે.
